ICC ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સતત બે મેચ હારતા મુશ્કેલીમાં ફસાઈ ગઇ છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર થઇ હતી. અમુક ખેલાડી એવા રહ્યાં છે, જેણે આઈપીએલમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી સૌ કોઈનું દિલ જીતી લીધુ હતુ. તેમ છતાં આ ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપ સ્કવોડમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ટી-20 વર્લ્ડ કપમાં આ બે ખેલાડીઓનો સમાવેશ થયો હોત તો
આ બે ખેલાડીઓએ IPL માં કર્યુ હતુ શાનદાર પ્રદર્શન
આ બે ખેલાડીઓ હોત તો ભારતીય ટીમની સ્થિતિ કઈક અલગ હોત
શિખર ધવન
હવે જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શરમજનક પરાજય થયો છે. તો આવા મજબુત ખેલાડીઓને યાદ કરીએ. ભારતીય ટીમના ઓપનર અને સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ભારતીય ટીમના ટી-20 વર્લ્ડ કપના સ્કવોડમાં સ્થાન મળ્યું નથી. પરંતુ ધવનનું બેટીંગ પ્રદર્શન આઈપીએલમાં ખૂબ ગરજ્યુ હતુ. ધવને 16 મેચમાં 587 રન બનાવ્યાં. જેનાથી દિલ્હીને સેમી ફાઈનલમાં જવાની તક મળી. ધવન ખૂબ આક્રમક બેટીંગ કરે છે અને તેઓ છગ્ગા મારવામાં માહેર છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડી ફ્લોપ રહી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ મોટી અને ધારદાર ઈનિંગ રમી શક્યા નથી. તેથી ભારતીય ટીમ ધમાકેદાર અંદાજમાં રમનારા ઓપનર શિખર ધવનની ગેરહાજરી અનુભવી રહી છે.
સ્પિનના જાદુગર યુઝવેન્દ્ર ચહલ
સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમનો ભાગ નથી. ચહલે આઈપીએલમાં પોતાના આગવા અંદાજથી તોફાન મચાવી દીધુ હતુ. આરસીબી ટીમ તરફથી રમી રહેલા આ લેગ સ્પિનરે આઈપીએલ 2021માં 15 મેચમાં 18 વિકેટ લીધી છે. UAEની પિચ સ્પિનરોને મદદરૂપ થાય છે. આઈપીએલનો બીજો તબક્કો UAEમાં રમાયો હતો. જો યુઝવેન્દ્ર ચહલનો ભારતીય ટીમમાં સમાવેશ થયો હોત તો ભારતીય ટીમનું પ્રદર્શન આટલુ શરમજનક ના રહ્યું હોત. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ઈમરાન તાહિર પણ ચહલનો ટીમમાં સમાવેશ ના કરાતા ટીમની ઘણી વખત નિંદા કરી ચૂક્યા છે. ચહલની ગુગલી અને લેગ સ્પિનના જાદુથી આખી દુનિયા વાંકેફ છે. ભારતીય ટીમમાં રહેલા કોઈ પણ સ્પિનરે સારું પ્રદર્શન કર્યુ નથી.