ભારતમાં કોરોના વાયરસ કરતા મહામારીને લીધે લાદવામાં આવેલી લોકડાઉનની પરિસ્થિતિએ વધારે હાહાકાર મચાવ્યો છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં ઘણા બધા નાગરિકો દૈનિક વેતનના કામદારો છે જે તેમના વતન છોડીને અન્ય રાજ્યોમાં મજૂરી અર્થે સ્થાયી થયા છે. હવે આ તમામ કામદારો લોકડાઉનમાં પોતાનો રોજગાર છીનવાઈ જતા અને પૈસા અને ખાવાપીવાની તંગી ઉભી થતા કોઈ પણ રીતે પોતાના હજારો કિલોમીટર દૂર આવેલા વતન પહોંચવા મજબૂર થયા છે.
દેશની ગરીબ અમીર તમામ પ્રજા પરપ્રાંતિયોની મદદ કરવા કટિબદ્ધ
શું પ્રજા અને NGOએ જ બધી વ્યવસ્થા કરવાની? સરકારનું કોઈ ઉત્તરદાયિત્વ નથી?
સડકો, હાઈવે, રેલવેના પાટા ઉપર માથે કિલોના કિલો જેટલો સામાન લઇને પોતાના નાના સંતાનો, વૃદ્ધ માબાપ અને પત્નીને લઇને ચાલ્યા આવતા કામદારો દેશમાં સામાન્ય તસ્વીર બની ગઈ હતી. કોરોનાના કેસ વધે એ ઝડપે આ કામદારો વિવિધ અકસ્માતોને અડફેટે આવીને મરી રહ્યા હતા અને હજુ પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં સરકારની અપૂરતી, અધૂરી, ખામીગ્રસ્ત, ત્રુટિગ્રસ્ત યોજનાઓ જેમાં અણઘડ વહિવટને કારણે આટલો સમય થયો હોવા છતાં લાખો કામદારોને હજુ સરકારની સ્પેશ્યલ ટ્રેઈનો અને બસની સેવાઓ નથી મેળવી શક્યા અને હાઈવે અને રાજ્યોની સરહદો ઉપર ઠેબા ખાય છે.
NGO કરી રહ્યા છે શ્રેષ્ઠ કામગીરી પણ સ્થાનિક તંત્ર સાથે સંકલનનો અભાવ
હવે આ સ્થિતિમાં વિપક્ષ, પોલીસ, ધનિકો, પ્રજા પોતપોતાની રીતે આ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે થઇ શકે એ રીતે મદદ કરી રહ્યા છે. દેશભરમાંથી નાના મોટા NGO આ શ્રમિકોને અનાજ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે. PM મોદીએ પણ આ NGOનો ઉલ્લેખ કરીને લોકોને આ NGOને મદદ કરવા માટે અપીલ કરી છે. જો કે અહીં પણ NGO અને જિલ્લા તંત્રો વચ્ચે ઘર્ષણના મામલા સામે આવ્યા છે. જેમ કે તામિલનાડુમાં ગુમિડીપુંડીમાં હજારો શ્રમિકો NGOને દેખરેખ હેઠળ હતા. પોલીસે આ શ્રમિકોને જબરજસ્તી એક ખાનગી એન્જીનીરિંગ કોલેજની હોસ્ટેલમાં શિફ્ટ કરી દીધા. આમ NGO અને પોલીસતંત્ર વચ્ચે અસમંજસનો માહોલ ઉભો થયો હતો.
મોટી પેઢીઓથી લઇને સિતારાઓથી લઇને સામાન્ય જનતા સુધી સૌ કરી રહ્યા છે દાન
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ ફાઈલ કરેલા એક અહેવાલ અનુસાર દેશભરમાં એપ્રિલ મહિનામાં લોકડાઉનના પહેલા તબક્કામાં આવા NGOsએ 30 લાખ જેટલા ભોજનોનું વિતરણ કર્યું હતું. ઘણા રાજ્યોમાં તો આ આંકડો સરકારે કરેલી મદદ કરતા પણ વધારે હતો. સોશ્યલ મીડિયા ઉપર ઘણા સેલિબ્રિટીએ પોતાનું ફંડ રેઇઝિંગ ચાલુ કરીને લોકો પાસેથી નાની નાની રકમ મેળવીને મોટું ભંડોળ ઉભું કર્યું છે. ઘણી બધી વેબસાઇટ્સ દેશમાં એક્ટિવ થઇ છે. PM ભંડોળમાં, અન્ય NGOના ભંડોળમાં વગેરેમાં દેશની મોટી કંપનીઓ અને જાણીતા સિતારાઓએ પોતાના ખજાના ખાલી કરી દીધા છે. અભિનેતા અક્ષય કુમારે તોતિંગ 25 કરોડ રૂપિયા PM કેર ફંડમાં દાન કર્યા હતા તો ક્રિકેટ સંસ્થા BCCIએ આ ફંડમાં જંગી 51 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. આટલા મોટા પ્રમાણમાં દાન મળ્યા છતાં પણ દેશમાં શ્રમિકો આટલો સમય વીતી ગયા છતાં કેમ આટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અવ્યવસ્થાનો ભોગ બની રહ્યા છે તે એક વણઉકેલાયેલો સવાલ છે.
ફક્ત માલેતુજારો જ નહીં પણ દેશના સામાન્ય નાગરિકો પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ રહ્યા છે. પુણેનો 30 વર્ષનો રીક્ષા ચાલક અક્ષય કોઠાવાલે આ માટેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. અક્ષયે તેમની રીક્ષાચાલકની આવકમાંથી પોતાના લગ્ન માટે 2 લાખ રૂપિયા બચાવ્યા હતા. જો કે દેશ કોરોના સંકટ અને લોકડાઉનમાં સપડાતા અક્ષયે પોતાના લગ્ન પાછા ઠેલ્યા હતા અને 2 લાખ રૂપિયામાંથી પુણેની ગલીઓમાં રહેતા પરપ્રાંતીય કામદારોના કલ્યાણ માટે વાપરવાનું નક્કી કર્યું હતું. અક્ષય દરરોજ 400 લોકો માટે જમવાનું તૈયાર કરીને શહેરના જરૂરિયાતમંદોને વિતરિત કરે છે. તે હાલ શહેરના જરૂરિયાતમંદ દર્દીઓને મફતમાં હોસ્પિટલ સુધી પહોંચાડે છે. તે શહેરમાં માસ્ક અને સેનિટાઇઝરનું પણ વિતરણ કરે છે.
અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિયોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યો છે
દેશના વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં 1000 બસોની પરવાનગી માંગી છે. આ 1000 બસોમાં શ્રમિકોને વતન લઇ જવામાં આવશે અને તેનો તમામ ખર્ચ કોંગ્રેસ પાર્ટી સહન કરશે. જો કે મળતી માહિતી પ્રમાણે અત્યારે આ બસોને સરહદ ઉપર રોકી દેવાઈ છે. આ જ પ્રમાણે બૉલીવુડના અભિનેતા સોનુ સૂદે પણ આ અભિયાનમાં ઝંપલાવ્યું છે. અભિનેતાએ ગુલબર્ગ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બસ સર્વિસની વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત હવે તેણે ઉત્તરપ્રદેશમાં આ સેવા માટે સ્પેશ્યલ મંજૂરી લીધી હતી. 46 વર્ષીય અભિનેતા પોતાનાથી થઇ શકે એ પ્રમાણે વ્યવસ્થા કરી રહ્યો છે.
આ ઉપરાંત એક હૃદયસ્પર્શી વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં BBCના એક પત્રકાર પગપાળા ચાલી રહેલા પરપ્રાંતીય કામદારો સાથે વાત કરે છે. વાતચીત દરમિયાન પત્રકાર સલમાન રવિ તેમની પરિસ્થિતિથી એટલા દ્રવી ઉઠે છે કે તેઓ ખુલ્લા પગે ચાલી રહેલા આ કામદારને પોતે પહેરેલા બુટ પહેરવા માટે આપી દે છે.
આ તમામ પ્રકારના સમાચાર એ બાબતની સાક્ષી પુરાવે છે કે ભારતમાં સંકટ સમયે કેવી રીતે તમામ વર્ગના લોકો એકબીજાને મદદ કરવા માટે તત્પર રહે છે. જો કે અહીં એ પણ નોંધનીય છે કે તમામ લોકોની મદદ કરવાની આટલી ભાવના વચ્ચે સરકાર જેની પ્રાથમિક જવાબદારી આ સમૂહને સાચવવાની છે તે કેમ કાચી પડી રહી છે કે લોકોએ આ મદદની જવાબદારી પોતાના માથે લેવી પડે છે. સરકાર આ પ્રવૃત્તિઓની સરાહના કરે અને તેને પ્રોત્સાહન આપે તે સારી અને સ્વાભાવિક વાત છે પણ ક્યાંક ને ક્યાંક સરકાર એ પ્રશ્નથી ઢાંકપિછોડા કરી રહી હોય એમ લાગે છે કે આ સેવાકાર્યને બદલે સરકારી વ્યવસ્થા વડે વધુ સારી રીતે પાર પાડી શકાયું હોત જે સરકાર કરવામાં ઉંણી ઉતરી છે.