ખતરનાક આતંકવાદીઓ અને નક્સલીઓ સામે લડવા માટે ભારતીય રેલવે પોતાની અલગ ફોર્સ તૈયાર કરી રહી છે. આ ફોર્સને 'કમાન્ડો ફૉર રેલવે સિક્યોરિટી' એટલે કે 'કોરસ' નામ આપવામાં આવ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, કોરસને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની જેમ અત્યાધુનિક તાલીમ આપવામાં આવશે.
ટ્રેન હાઈજેક, આતંકી હુમલા, મુસાફરોને બંધક બનાવવા જેવી સ્થિતિઓ વખતે લડવા માટેની ટ્રેનિંગ પણ આ કેન્દ્રોમાં આપવામાં આવશે. હથિયારો ચલાવવા, લેન્ડમાઈન, આઈઈડીને નિષ્ક્રિય કરવા જેવી વિશ્વસ્તરની ટેક્નિકની ટ્રેનિંગ પણ કોરસના કમાન્ડોને મળશે.
રેલવેની હદમાં કોઈ પણ આકસ્મિક દુર્ઘટના કે હુમલો થાય ત્યારે ઈમર્જન્સી સંજોગોમાં આ કમાન્ડો ચાર્જ સંભાળશે અને કાર્યવાહી કરશે. રેલવે અને પ્રવાસીઓને સુરક્ષિત રાખવા તેમની પ્રાથમિકતા રહેશે. રેલવે મંત્રાલયે આ અંગે સકર્યુલર પણ જારી કરી દીધો છે. પહેલા તબક્કામાં 122 કમાન્ડોની એક બટાલિયન બનાવવામાં આવી છે, જેમને 30 દિવસની પ્રારંભિક તાલીમ આપવામાં આવશે.
રેલવે મંત્રાલયે આ મહિને જારી કરેલા 16 પેજના સકર્યુલરમાં તાલીમથી લઈને અભ્યાસક્રમ સુધીની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. આ સ્પેશિયલ ફોર્સમાં અંદાજે 5 વર્ષ સુધી જવાનોને તહેનાત કરવામાં આવશે. દર વર્ષે તેમનો ફિટનેસ ટેસ્ટ આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના ડીજીના માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે. ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય તેવા કમાન્ડોને વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.
ત્યારબાદ પણ જો તે ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો તેને રેલવેની સામાન્ય ફોર્સમાં મોકલી દેવામાં આવશે. સ્પેશિયલ ફોર્સની ફિટનેસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. કમાન્ડોને રોજ એક કલાક સુધી હથિયારો સાથે દોડવાની, દૂરથી સટિક નિશાન લેવાની, હેલિકૉપ્ટર કે પ્લેનમાંથી પેરાશૂટની મદદથી કૂદવાની તાલિમ પણ અપાશે.
રેલવેના કોચમાં કોઈ આતંકી કે નક્સલી ઘૂસી જાય તો એ સ્થિતિમાં પ્રવાસીઓને સુરક્ષિત કઈ રીતે રાખવા અને તેમને કઈ રીતે બહાર કાઢવા તેની ખાસ તાલીમ પણ કમાન્ડોને મળશે. કોરસ માટે અલગ બજેટ ફાળવવામાં આવશે અને અન્ય ફોર્સની સરખામણીએ કોરસના જવાનોને વધુ ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે.