શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને જેમ-જેમ પહાડોમાં બરફવર્ષા વધશે તેમ તેમ મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધશે. આ સાથે ગાઢ ધુમ્મસ પણ લોકોને પણ ખુબ પરેશાન કરશે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસર ટ્રેન, ફ્લાઈટ અને રોડ પરના વાહનવ્યવહારને થાય છે. જોકે, ધુમ્મસને કારણે ટ્રેનોમાં મોડું થવાના કિસ્સામાં સરકારે કેટલાક આગત્યના નિર્ણયો લીધો છે.
હવે પછી જો તમારી ટ્રેન ધુમ્મસને કારણે મોડી પડશે તો તમને SMS દ્વારા તેના વિશે માહિતી મળી જશે. તમારે પ્લેટફોર્મ પર બેસી રહીને ટ્રેનની રાહ જોવી નહીં પડે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે આ વાતની પુષ્ટિ કરી છે.આ દિવસોમાં ધુમ્મસની અસર હજુ ભલે દેખાઈ નથી છતાં રેલ્વેએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ધુમ્મસમાં મોડી પડતી ટ્રેનોની માહિતી સમય સમય પર એસ.એમ.એસ. દ્વારા આપવાની વ્યવસ્થા શરૂ કરવાના આદેશો જારી કરાયા છે.
રેલ્વે રેકોર્ડ્સ કહે છે કે, દેશમાં સામાન્ય રીતે ધુમ્મસની શરૂઆત 15 ડિસેમ્બર પછી થાય છે. ધુમ્મસને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલ્વેમાં દોડતી 38 ટ્રેનો 31 જાન્યુઆરી સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. 20થી વધુ ટ્રેનોને અઠવાડિયામાં એકથી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે. ધુમ્મસ દરમિયાન રેલ્વેએ શું શું ગોઠવણ કરી છે તે અંગે રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને વિસ્તૃત માહિતી આપી હતી. તેમાં જણાવાયું છે કે, ધુમ્મસમાં ટ્રેનો વિલંબથી દોડે તેની સંપૂર્ણ માહિતી મુસાફરોને એસએમએસ દ્વારા આપવામાં આવશે.
આ માટે હાલ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સલામત રીતે ટ્રેનોનું સંચાલન કરવા માટે મુખ્ય રેલવે સ્ટેશનો અને ટ્રેનોના એન્જિનો પર ફૉગ સેફ્ટી ડિવાઈસ જેવી આધુનિક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ સિસ્ટમ ટ્રેનના ડ્રાઈવરને સિગ્નલ, સ્ટેશન, રેલવે ફાટક વિશેની તમામ માહિતી આપશે. તેમજ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેન ક્યાં દોડી રહી છે તેની સચોટ જાણકારી પણ મળશે. ટ્વીટમાં રેલ્વે પ્રદાનેએ કહ્યું કે, રાત્રે રેલવે લાઇન પર પેટ્રોલિંગ કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે લાઇન તૂટવાની કે ક્ષતિગ્રસ્ત થવા અંગેની જાણકારી ડ્રાઈવર, સ્ટેશન માસ્ટર અને અધિકારીઓને સમયસર પૂરી પાડવામાં આવશે.