ઘણા લાંબા સમયથી રેલવેમાં ખાનગીકરણની જરૂરિયાત અનુભવાતી હતી. આખરે રેલવેએ હવે ખાનગી ક્ષેત્ર પાસેથી કેટલાક રૂટ પર ટ્રેનો ચલાવવા માટે રિકવેસ્ટ ફોર કવોલિફિકેશન મંગાવ્યા છે. કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારી હેઠળ પેસેન્જર ટ્રેનના સંચાલનની યોજના બનાવી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રેલવે નેટવર્કને ૧૨ ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં ૧૦૯ જોડકા ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે. આ યોજના હેઠળ અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું ખાનગી ક્ષેત્રનું નિવેશ થશે.
ભારતીય રેલનું ખાનગીકરણની દિશામાં મોદી સરકારે ભર્યું પગલું
કોંગ્રેસે કહ્યું વિનાશક સાબિત થશે
સમયની સાથે ખાનગીકરણ જરૂરી છે
ભારતીય રેલવે નેટવર્ક પર પેસેન્જર ટ્રેન ચલવવા માટે ખાનગી રોકાણકારો દ્વારા પહેલ કરવામાં આવી છે.ખાનગીકરણની દિશામાં રેલવેના નિર્ણયનો કોંગ્રેસ અને ડાબેરીઓ સહિતના વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે રેલવે ગરીબોની એક માત્ર જીવાદોરી છે અને સરકાર હવે ગરીબોના આ આખરી સહારાને પણ છીનવી રહી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરકારને જે છીનવવું હોય તે છીનવી લે, પરંતુ યાદ રહે કે દેશની જનતા આનો જોરદાર જવાબ આપશે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ એક પત્રકાર પરિષદ બોલાવીને જણાવ્યું હતું કે રેલવેનું ખાનગીકરણનું પગલું વિનાશક પુરવાર થશે. સંસદમાં બે દિવસની ચર્ચામાં મોદી સરકારે જણાવ્યું હતું કે ખાનગીકરણ નહીં થાય અને હવે સરકાર રેલવેને ખાનગી પાર્ટીઓના હાથમાં સોંપી રહી છે. સરકારે આ રીતે શબ્દોની રમત રમવી જોઇએ નહીં. દેશના મુખ્ય ડાબેરી પક્ષો સીપીઆઇ અને સીપીઆઇએમએ જણાવ્યું છે કે રેલવેનું ખાનગીકરણ કરવાનું સરકારનું પગલું ભારતની આત્મનિર્ભર અર્થતંત્રના પાયાને નબળો પાડી દેશે અને આવા પ્રજા વિરોધી નિર્ણયને સરકારે રદ કરવો જોઇએ.
મોદી સરકારે ખાનગીકરણની દિશામાં ભર્યું પગલું
કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સરકારના પગલાંનો વિરોધ કરે તે સ્વાભાવિક છે, પરંતુ તેમણે સમજવું જોઇએ કે રેલવેનું ખાનગીકરણ એ સમયની માગ છે. એ વાત સાચી કે ભારત જેવા દેશમાં રેલવેની એક સામાજિક જવાબદારી પણ છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે તેની ચિંતા ન કરે કે ભવિષ્યની જરૂરિયાતોની પૂર્તતા કઇ રીતે કરવામાં આવશે. રેલવેમાં ખાનગીકરણની આવશ્યકતા ઘણા લાંબા સમયથી હતી, પરંતુ રાજકીય કારણોસર અા દિશામાં કોઇ નક્કર પહેલ થઇ શકી નહોતી. એ સારું થયું કે મોદી સરકારે પોતાનો ખચકાટ તોડીને રેલવેના ખાનગીકરણની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હવે આપણા દેશમાં રેલવેને લઇને જે ચીલાચાલુ રાજકીય માનસિકતા પ્રવર્તે છે તેને છોડવાની જરૂર છે. જો વિમાની સેવાનું ખાનગીકરણ થઇ શકે તો રેલવેનું કેમ નહીં? તમે કલ્પના કરો કે જો ખાનગી એરલાઇન્સ ન હોત તો ઉડ્ડયન ક્ષેત્રની હાલત શું થઇ હોત?
રોલિંગ સ્ટોક ખાનગી કંપની ખરીદશે
સરકારની અધિસુચના પ્રમાણે આ પહેલ કરવાનો મુખ્ય ધ્યેય મોર્ડન ટેકનોલોજી રોલિંગ સ્ટોકને રેલવે નેટર્વકમાં રજૂ કરવાનો સાથે સાથે ઓછા સમયમાં, વધુ સ્પીડે, સારી ક્વોલીટી સાથે રોજગારને વધારો આપવાનું છે. વધારે સુરક્ષાઓ સાથે યાત્રિકોને વિશ્વસ્તરીય યાત્રાનો અનુભવ કરાવવાનો છે. ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા ૧૬ ડબ્બા હશે. આ ટ્રેનની મહતમ સ્પીડ ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનના રોલિંગ સ્ટોક ખાનગી કંપની ખરીદશે. મરામતનો ખર્ચો પણ તે જ કંપનીઓ ભોગવશે. સૌથી વધારે ટ્રેનો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં બનાવવામાં આવશે.
આવનારી ટ્રેનની સ્પીડ ૧૬૦ કિમી પ્રતિ કલાક હશે
ખાનગી કંપનીઓની ગાડીઓ ખરીદી,સંચાલન, ક્વોલીટી, મની મોનીટરીંગ માટે પણ જવાબદાર હશે. ખાનગી કંપની સાથેની ભાગીદારી હેઠળ ચલવવામાં આવનારી ટ્રેનની સ્પીડ ૧૬૦ કિમી પ્રતિ કલાક હશે જેના કારણે સમયની ખૂબ જ બચત થશે. આ ટ્રેનોની ગતિની તુલના તે જ ઋટ પર ચાલનારી ભારતીય રેલવે તરફથી સંચાલિત કરવામાં આવતી કોઈપણ ટ્રેનની સ્પીડ કરતાં વધારે હશે. આ સંજોગોમાં વિપક્ષોની અને દેશના નાગરિકોનું કર્તવ્ય બની રહે છે કે તેઓ રેલવેને વધુ સુવિધાજનક બનાવવા માટે ખાનગીકરણના પગલાંને સમર્થન આપે.