ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે, ટ્રેનના ખાનગી ઓપરેટર્સ માટે ભાડું લેવા અંગેની કોઇ જ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ સાથે જ પ્રાઇવેટ ઓપરેટર્સે આ અંગે કોઇ ઓથોરિટીને પૂછવાની પણ જરૂર નથી.
ભારતીય રેલવેની સ્પષ્ટતા
ખાનગી ઓપરેટર્સ મનફાવે તેટલું વસૂલી શકશે ભાડું
રેલવેના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે જે પણ ખાનગી ટ્રેન ઓપરેટર્સ ટ્રેન ચલાવશે તેની મરજી મુજબ તે ગ્રાહક પાસેથી ભાડું વસૂલી શકશે.
આપને જણાવી દઇએ કે, ભારતમાં 12 પ્રાઈવેટ ટ્રેનોની શરુઆત નવા નાણાકીય વર્ષ 2023થી શરુ થઈ જશે. રેલવેની યોજના નાણાકીય વર્ષ 2027 સુધી દેશમાં 151 ખાનગી ટ્રેનો ચલાવવાની છે. ઉલ્લેખનીય છે કે ગરીબ અને મધ્યમ વર્ગને ટ્રેનનું ભાડું પણ માંડ માંડ પરવડે છે.
નોંધનીય છે કે, આ પ્રાવધાનને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. તેના માટે સરકાર ઝડપથી કેબિનેટમાં મંજૂરી પણ આપી શકે છે. રેલવે એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર અથવા વિવિધ મંત્રાલય રેલવે ભાડા અંગે નિર્ધારણ કરી શકે છે.
બોજો સામાન્ય માણસોના ખિસ્સા પર પડી શકે
ત્યારે એવું મનાઈ રહ્યુ છે કે ખાનગી કંપનીઓ પોતાની રીતે નુકશાન બતાવી ભાડું નક્કી કરશે. જેનો બોજો સામાન્ય માણસોના ખિસ્સા પર પડી શકે છે. હવે ટ્રેનનો પ્રવાસ કરવો પણ સામાન્ય લોકોના બજેટ ખોરવી દે તો નવાઈ નહીં. દેશ ભરમાં રેલવે નેટવર્કને 12 ક્લસ્ટરમાં વહેચવામાં આવશે. જાણો નવી ખાનગી ટ્રેનોની સ્પીડ, ભાડુ અને તેનું મેન્ટેનન્સ સાથે જોડાયેલી તમામ વિગતો...
પીપીપી મોડલ પર 5 ટકા ટ્રેનોનું ખાનગીકરણ
રેલવેની યોજના પીપીપી મોડલ પર 5 ટકા ટ્રેનોનું ખાનગીકરણ કરવાની છે. ત્યારે 95 ટકા ટ્રેનો રેલવે દ્વારા ચલાવવામાં આવશે. માર્ચ 2021 સુધીમાં ટેન્ડરો ફાઈનલ કરી દેવામાં આવશે. 8 સપ્ટેમ્બર સુધીમાં તમામ અરજીઓ કરી શકે. એ બાદ 8 નવેમ્બર સુધીમાં કંપનીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. આ કંપનીઓ હરાજીમાં ભાગ લેશે. આ પ્રોજેક્ટમાં લગભગ 30 હજાર કરોડનું ખાનગી રોકાણ કરી શકે છે. રેલવે પીપીપી મોડલ પર 5 ટકા ટ્રેનોનું ખાનગીકરણ કરવાની યોજના ધરાવે છે. માર્ચ 2021 સુધીમાં ટેન્ડરોને અંતિમ રુપ આપવામાં આવશે.
ગુડ્સ ટ્રેનનું પણ થઇ શકે ખાનગીકરણ
ટૂંક સમયમાં ખાનગી ટ્રેનો પણ હવે પાટા પર દોડતી થઇ જશે અને આ વાતની જાહેરાત પણ કરી દેવાઇ છે કે માર્ચ 2023થી પ્રાઇવેટ ટ્રેન પણ શરૂ થઇ જશે. પરંતુ સરકારની યોજના માત્ર પ્રાઇવેટ યાત્રી ટ્રેન ચલાવા સુધી સીમિત નથી.
પરંતુ પ્રાઇવેટ માલગાડિઓ પણ ચલાવાની યોજના સરકાર બનાવી રહી છે અને મળતી માહિતી મુજબ પ્રાઇવેટ ટ્રેન શરૂ થવાની સાથે જ પ્રાઇવેટ માલગાડી શરૂ કરવાની પણ જાહેરાત સરકાર કરી શકે છે. સરકાર તરફથી પ્રાઇવેટ માલગાડી ચલાવાના નિર્ણયથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવાના કામમાં તેજી આવશે.