મધ્ય પ્રદેશમાં ઇંદોરથી ઉપડતી 39 ટ્રેનોમાં મસાજની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનોમાં દહેરાદૂન-ઇંદોર એક્સપ્રેસ (14317), નવી દિલ્હી-ઇંદોર ઇન્ટરસિટી એક્સપ્રેસ (12416) અને ઇંદોર-અમૃતસર એક્સપ્રેસ (19325) સામેલ છે.
દેશના ઇતિહાસમાં આવું પહેલી વખત થવા જઇ રહ્યું છે કે તમે ચાલુ ટ્રેનમાં માલિશ એટલે કે મસાજની મજા લઇ શકશો. ભારતીય રેલવે પોતાના યાત્રીઓને જલ્દીથી આ ખાસ સેવા આપવા જઇ રહી છે. રેલવે બોર્ડના મીડિયા અને સંચાર નિદેશકના જણાવ્યા અનુસાર, પશ્વિમ રેલવે ક્ષેત્રના રતલામ મંડળે એનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, 'આ રેલવેના ઇતિહાસમાં પહેલી વખત થશે કે યાત્રીઓના આરામને ધ્યાનમાં રાખતા એમને ચાલુ ટ્રેનમાં મસાજની સુવિધા આપવામાં આવશે. એનાથી રેલવેને વધારાની આવક તો થશે પરંતુ સાથે સાથે યાત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે.' આ સાથે જ એમને જણાવ્યું કે એનાથી રેલવેને વર્ષની 20 લાખ રૂપિયાની આવક થાય એવી આશા છે, જ્યારે સેવા પ્રદાન કરનાર 20,000 વધારે યાત્રીઓના કારણે ટિકીટનું વેંતાણ વધવાથી વર્ષની 90 લાખ રૂપિયા આવક વધે એવું અનુમાન છે.
આ સેવાને 15 થી 20 દિવસમાં શરૂ કરવામાં આવશે. આ સેવા સવારે 6 થી રાતે 10 વાગ્યાની વચ્ચે રહેશે. યાત્રીઓના માથા અને પગની માલિશ માટે 100-100 રૂપિયા આપવા પડશે. એના માટે દરેક ટ્રેનમાં 3 થી 5 માલિશ કરનાર યાત્રા કરશે. રેલવે એમને ઓળખપત્ર પણ જારી કરશે.