દેશમાં અત્યારે રેલવેના ખાનગીકરણને ખૂબ મહત્વ અને ભાર આપવામાં આવી રહ્યું છે ત્યારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે ખાનગી કંપનીઓએ રૂચી દર્શાવી છે.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્રોજેક્ટ પર અદાણીની નજર
રેલ્વેમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે સરકાર
છેલ્લા થોડા સમયમાં અદાણીને દેશના છ એરપોર્ટની મળી છે જવાબદારી
દિલ્હી રેલ્વે સ્ટેશનને નવેસરથી તૈયાર કરવા માટેનું ટેન્ડર દિગ્ગજ બિઝનેસમેં ગૌતમ અદાણીને મળી શકે છે. અદાણી ગ્રુપની કંપનીએ આ પ્રોજેક્ટમાં રૂચી દર્શાવી છે. નોંધનીય છે કે આ પહેલા દેશના છ એરપોર્ટના સંચાલનની જવાબદારી પણ અદાણીને મળી ચુકી છે. અદાણીની કંપની સાથે દેશ વિદેશ 20 કંપનીઓએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના રીનોવેશનમાં રૂચી દર્શાવી છે. આ કંપનીઓમાં GMR, JKB ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અરેબિયન કન્સ્ટ્રકશન સહીતની કંપનીઓ સામેલ છે.
નોંધનીય છે કે આ રેલ્વે સ્ટેશનનું રીનોવેશન પ્રોજેક્ટ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ જ કોમર્શિયલ, રિટેલ હબ પણ તૈયાર કરવાનું છે. એક રીતે દિલ્હી રેલ્વે સ્ટેશન સ્ટેશનને એરપોર્ટ જેવું બનાવવાની તૈયારી છે. જેના કારણે રેલ્વેની કમાણીમાં પણ વધારો થઇ શકે અને બીજી તરફ મુસાફરોને વધારાની સુવિધાઓ આપી શકાય. RLDAના વાઈસ ચેરમેન વેદ પ્રકાશ દુધેજાએ મીડિયાને જણાવ્યું કે આ રેલ્વે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે દેશ વિદેશની અનેક કંપનીઓએ રૂચી દર્શાવી છે.
નોંધનીય છે કે આ પ્રોજેક્ટના કારણે રિઅલ એસ્ટેટને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને તેની આસપાસના વિસ્તારમાં પણ વિકાસકાર્યોને ઝડપ મળશે. આ સ્ટેશન પર સાડા ચાર લાખ યાત્રિકો દરરોજ આવે છે અને 400 ટ્રેન અહિયાંથી પસાર થાય છે અને હજુ તો આંકડાઓમાં વધારો થાય તેવી શક્યતા છે.
મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી રેલ્વેમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ટૂંક સમય પહેલા જ પ્રાઈવેટ ટ્રેન દોડાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ સિવાય IRCTCમાં પણ ભાગીદારી વેચવાની તૈયારી ચાલી રહી છે.