ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે નવા-નવા નિયમ બનાવે છે. અનેક વખત મુસાફરોને આ નિયમોની જાણકારી હોતી નથી. જેને પગલે યાત્રાના સમયે મુસાફરોએ થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગના લોકોને રાત્રિના સમયે યાત્રા કરવામાં મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
મુસાફરો માટે રેલવેના નવા નિયમ
ટ્રેનમાં મુસાફરો ઊંચા અવાજે વાત નહીં કરી શકે
કોઈ મુસાફર ફરિયાદ કરશે તો તેના વિરુદ્ધ થશે કાર્યવાહી
મુસાફરોને સમસ્યાઓથી બહાર આવવા માટે રેલવેના નવા નિયમ
ઘણી વખત મુસાફરોને ફરિયાદ રહે છે કે રાત્રિના સમયે કેટલાંક મુસાફરો ફોન પર ઝડપી વાત કરે છે, તો કેટલાંક લોકો મોટા અવાજે સંગીત સાંભળે છે. મુસાફરોને આવી સમસ્યાઓથી બહાર આવવા માટે રેલવેના અમુક નિયમ છે.
મુસાફર મોટા અવાજે વાત કરતા પકડાશે તો રેલવે પગલા ભરશે
રેલવેના નિયમો મુજબ રાત્રે 10 વાગ્યા બાદ કોઈ પણ મુસાફરને મોબાઈલ પર મોટા અવાજે વાત કરવાની મંજૂરી નથી અને મોટા અવાજે સંગીત સાંભળવાની પણ મંજૂરી નથી. જો કોઈ મુસાફર ઊંચા અવાજે વાત કરતા અથવા સંગીત સાંભળતા પકડાય છે તો તેની વિરુદ્ધ ફરિયાદ મળતા રેલવે એક્શન લઇ શકે છે. મોટા અવાજે વાત કરવી અને સંગીત સિવાય કેટલાંક મુસાફરોને આ વાતની ફરિયાદ હોય છે કે રાત્રે ટ્રેનમાં લાઈટ ઑન રહે છે. જેના માટે રેલવેનો નિયમ છે કે રાતની મુસાફરી દરમ્યાન માત્ર નાઈટ લાઈટ ઑન રહેશે. આ ઉપરાંત કોઈ પણ લાઈટ ચાલુ રાખવાની મુસાફરોને મંજૂરી નથી.
મહિલા મુસાફરોને તાત્કાલિક મદદ પહોંચાડાશે
માત્ર એટલું જ નહીં, મુસાફરોની સુવિધા માટે રાત્રિના સમયે ચેકિંગ સ્ટાફ, આરપીએફ, ઈલેક્ટ્રીશિયન, કેટરીંગ સ્ટાફ અને મેન્ટેનન્સ સ્ટાફને પણ શાંતિથી કામ કરવાના નિર્દેશ હોય છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન અને એકલી યાત્રા કરી રહેલી મહિલા મુસાફરોને રેલવે કર્મચારીઓ દ્વારા જરૂરીયાત પડતા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે ટ્રેનોમાં જે બેડ રોલની સુવિધાને બંધ કરવામાં આવી હતી. તે એક વખત ફરીથી શરૂ કરવામાં આવી છે. રેલવેએ અનેક ટ્રેનોમાં બેડ-રોલની સુવિધાને શરૂ કરી દીધી છે. રેલવે ધીરે-ધીરે બધી ટ્રેનોમાં આ સુવિધાને પાછી શરૂ કરશે.