ટ્રેનથી યાત્રા કરવા માટે રેલ્વે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર પર લોકોને લાંબી લાઈનથી રાહત મળશે. રેલ્વે વિભાગે જનરલ ટિકિટ માટે ટિકિટ કાઉન્ટરો પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેનાર લોકોને મોટી રાહત આપી છે. હકીકતમાં અત્યાર સુધી જનરલ ટિકિટ લેવા માટે યાત્રીઓએ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. જ્યારે તેઓ ટિકિટ કાઉન્ટરો પર પહોંચે ત્યારે ટિકિટ આપનાર રેલ્વે કર્મચારીઓને કમ્પ્યૂટરમાંથી ટિકિટની પ્રિન્ટ લેવા અને યાત્રીઓને આપવામાં સમય લાગતો હતો.
રેલ્વે શરૂ કરશે નવી સુવિધા
હવે નહીં ઊભા રહેવું પડે લાંબી લાઈનમાં
થર્મલ પ્રિન્ટર દ્વારા એક જ મિનિટમાં 10થી વધુ ટિકિટ પ્રિન્ટ થઈ જશે
હવે રેલ્વેએ ઓછા સમયમાં ટિકિટ માટે થર્મલ પ્રિન્ટરની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. થર્મલ પ્રિન્ટર દ્વારા ટિકિટ ફટાફટ પ્રિન્ટ થઈ જશે અને યાત્રીઓને પણ જલ્દીથી ટિકિટ મળી જશે. એવું કહેવાય છે કે, થર્મલ પ્રિન્ટર દ્વારા કાઉન્ટર પર રહેલાં કર્મચારીઓને ટિકિટના પૈસા લેવામાં જેટલો સમય લાગશે, તેનાથી પણ ઓછા સમયમાં ટિકિટની પ્રિન્ટ મળી જશે. અત્યાર સુધી જૂની પ્રિન્ટર પ્રણાલીમાં 2-3 ટિકિટ પ્રિન્ટ થઈ શકતા હતા, જ્યારે હવે થર્મલ પ્રિન્ટર દ્વારા એક જ મિનિટમાં 10થી વધુ ટિકિટ પ્રિન્ટ થવાની સુવિધા મળશે.
હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર થર્મલ પ્રિન્ટિંગનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું
આનાથી પ્લેટફોર્મ ટિકિટ અને મંથલી સીઝન ટિકિટ (એમએસટી) પણ જારી કરી શકાશે. એવું કહેવાય છે કે થર્મલ પ્રિંટિંગવાળી ટિકિટમાંથી એક નિશ્ચિત સમય પછી તેની પ્રિન્ટિંગ જાતે જ હટી જાય છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી સ્થિત હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર થર્મલ પ્રિન્ટિંગનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તે સમયે રેલ્વે વિભાગે કહ્યું હતું કે તેનાથી અનરિઝર્વ ટિકિટ કાઉન્ટરો પર લાગતી લાંબી લાઈનમાં ઘટાડો થશે અને લોકોને તેનાથી રાહત મળશે.
ટ્રાયલ સફળ થયા બાદ થર્મલ પ્રિન્ટિંગનો ઉપયોગ શરૂ કરાશે
એવું પણ કહેવાય છે કે, ટ્રાયલ સફળ થયા બાદ થર્મલ પ્રિન્ટિંગનો ઉપયોગ દેશના ઘણાં સ્ટેશન પર કરવામાં આવશે. તેની એક ખાસિયત એ પણ છે કે, તેને ગમે ત્યાં લઈ જઈ શકાશે અને યાત્રીને ટિકિટ આપી શકાશે. થર્મલ પ્રિન્ટિંગનો ઉપયોગ મોટાભાગે એવા રેલ્વે સ્ટેશનો પર કરવામાં આવશે જ્યાં ટિકિટ કાઉન્ટર બનાવવા મુશ્કેલ છે અને યાત્રીઓને અનરિઝર્વ ટિકિટ માટે હાલાકી ભોગવવી પડે છે.