કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસના લૉકડાઉનને આગળ નહીં વધારવાની સ્પષ્ટતા બાદ ભારતીય રેલ્વે અને ખાનગી ઍરલાઈન્સ દ્વારા 15 એપ્રિલથી બુકિંગ લેવાના શરૂ કરી દીધાં છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના પગલે 14 એપ્રિલ સુધી લૉકડાઉન સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે 21 દિવસનું જ રહેશે લૉકડાઉન
સરકારની સ્પષ્ટતા બાદ એરલાઇન્સે બુકિંગ લેવાનું કર્યું શરૂ
રેલ્વે દ્વારા પણ બુકિંગ લેવાના શરૂ કરી દેવાયા છે
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા અગાઉ દેશભરમાં અટકળો વહેતી થઈ હતી કે 21 દિવસનું લૉકડાઉન વધારી શકાય છે. જો કે બાદમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી અને તમામ અટકળોનો અંત આવ્યો હતો. આવામાં હવે રેલ્વે ઉપરાંત ઍરલાઈન્સે પણ 15મી એપ્રિલથી બુકિંગ લેવા માટે પોતાની બુકિંગ વિન્ડો ઓપન કરી દીધી છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના પ્રદીપ શર્માએ આ મામલે જણાવતા કહ્યું હતું કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરી દેવાઈ છે કે 14 એપ્રિલ પછી લૉકડાઉન આગળ વધવાનું નથી. જેથી રેલ્વેમાં બુકિંગ લેવાના શરૂ કરી દેવાયા છે. IRCTCની વેબસાઈટ અને ઍપ પર પણ જોવા મળ્યું હતું કે 15મી એપ્રિલ બાદ બુકિંગ કરી શકાય છે.
બીજી બાજુ ટ્રાવેલ ઑપરેટર્સ પણ કહી રહ્યાં છે કે અમને સતત અમારા ગ્રાહકો પાસેથી રેલ્વે અને એરલાઈન ફરી શરૂ થવા અંગેની ઈન્ક્વાયરી આવતી રહે છે. સૂત્રો અનુસાર લૉકડાઉન બાદ સફર કરવામાં મોટા ભાગના બિઝનેસ ટ્રાવેલર્સ તરફથી અમને ઈન્ક્વાયરી આવે છે. ટ્રાવેલ ઑપરેટર્સ કહે છે કે અમારી ઓફિસ લૉકડાઉનને કારણે બંધ છે પરંતુ ટ્રાવેલ બુકિંગ માટે અમને બિઝનેસમેન, કોર્પોરેટ ગ્રુપ્સ અને અરજન્ટ ટ્રાવેલિંગ ધરાવતા લોકોના અમને સતત ફોન આવતા રહે છે. આવામાં લાગી રહ્યું છે કે લૉકડાઉન બાદ પણ સોશ્યલ અને હોલિ-ડે ટ્રાવેલિંગ માટે હજુ સમય લાગશે.
અન્ય એક ટુર ઑપરેટર કહે છે કે 15 એપ્રિલથી ઍરલાઈન્સના પણ બુકિંગ હવે ઓપન દેખાય છે. ક્લાયન્ટ્સ સતત બુકિંગ મળશે કે નહીં તેની માટે પૂછતાં રહે છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે લૉકડાઉનની તારીખ વિશે સ્પષ્ટતા કરી દીધી છે તેથી અમારા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે SpiceJet, Indigo, GoAir જેવી ખાનગી ઍરલાઇન્સમાં 15 એપ્રિલથી બુકિંગ ઓપન દેખાઈ રહ્યાં છે. જો કે આ મામલે ઍરલાઈન કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે જાહેરાત કરાઈ નથી.