ભારતીય રેલમાં મુસાફરી કરતી વખતે બધાએ ધાબળાનો ઉપયોગ કર્યો જ હશે. એવામાં ભારતીય રેલવે દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ટ્રેનમાં આપવામાં આવતા ધાબળા મહિનામાં એક જ વાર ધોવામાં આવે છે.
મહિનામાં એક જ વાર ધોવામાં આવે છે ધાબળા
રેલવે તંત્રએ આરટીઆઈનાં જવાબમાં આપી માહિતી
ધાબળાની સાથે આપવામાં આવતા બેડરોલ દરરોજ ધોવાય છે
આ હાલત તો મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનની છે. તેથી કહી શકાય કે દિલ્હી-મુંબઈ વચ્ચે હજારો મુસાફરો સફર કરી લે તે બાદ ધાબળા ધોવામાં આવે છે.
આ જાણકારી રેલવે તરફથી એક આરટીઆઈનાં જવાબમાં આપવામાં આવી છે. જોકે રાહતની વાત છે કે મુસાફરીમાં ધાબળાની સાથે આપવામાં આવતા બેડરોલ અને ઓશિકાના કવર દરરોજ ધોવામાં આવે છે. 64 વર્ષનાં જતીન દેસાઈની આરટીઆઈમાં આ માહિતી બહાર આવી છે.
દેસાઈની આરટીઆઈના જવાબમાં જણાવવામાં આવ્યું કે લેનિનની બધી જ વસ્તુઓને દરેક વપરાશ બાદ ધોવામાં આવે છે જયારે ધાબળાને મહિનામાં એકવાર ધોવામાં આવે છે. નોંધનીય છે કે ધાબળા સહિત ઉનથી બનેલી ચીજો વધારેમાં વધારે 50 વાર ધોઈ શકાય તેવા હોય છે. તેથી પહેલાં તો આ ધાબળાને બે મહિનામાં એક વાર ધોવામાં આવતા હતા જે બાદ હવે તેને દર મહીને ધોવામાં આવે છે.
રેલવે દર બીજા વર્ષે પોતાના ધાબળા બદલી નાખે છે. આ પહેલાં આ ધાબળાને ચાર વર્ષ સુધી વાપરવામાં આવતા હતા. ભારતની ટ્રેનમાં પ્રીમીયમ ફર્સ્ટ ક્લાસમાં ધાબળા પર કવર ચઢાવીને આપવામાં આવે છે જયારે બીજા બધા ક્લાસમાં મુસાફરોએ વારંવાર વપરાયેલ ધાબળા જ ઉપયોગમાં લેવા પડે છે.