કોરોના વાયરસના કારણે જે ભારતીય રેલ ક્યારેય યુદ્ધના સમયમાં પણ રોકાઈ નથી તે ટ્રેનોના પૈડા થંભી ગયા છે. દેશભરમાં લોકડાઉનનાં કારણે રેલ સેવા બંધ કરવામાં આવી છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે 15મી એપ્રિલના દિવસે જ રેલવે શરુ થઇ જશે ? જેના પર રેલવે દ્વારા જવાબ આપવામાં આવ્યા છે.
માત્ર 4 કલાકમાં ટ્રેનો દોડતી કરી શકાય એવું નેટવર્ક
એક લાખ કર્મચારીઓ ઓનબોર્ડ કામ કરે છે
હાલમાં માલગાડી દ્વારા જીવન-જરૂરી સામાન ઝડપથી પહોંચાડાય છે
રેલ મંત્રાલયના આરડી વાજપેયીનું કહેવું છે કે લોકડાઉન બાદ ટ્રેન તરત શરુ કરવાનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ અનુસાર લેવામાં આવશે. દેશમાં વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિ અનુસાર કેન્દ્ર સરકાર નિર્ણય કરશે કે કયા રાજ્યમાં ટ્રેન શરુ કરવાની છે અને કયા રાજ્યમાં નથી કરવાની.
નોંધનીય છે કે રેલવે દરરોજ 12 હજાર પેસેન્જર ટ્રેન ચલાવે છે. એક લાખ કર્મચારીઓ ઓનબોર્ડ કામ કરે છે. ત્યારે લોકડાઉન ખુલ્યા બાદ આ કર્મચારી માટે PPE લાવવા અસંભવ હોવાથી તરત જ બધી જ ટ્રેનો શરુ કરવી એક મોટી ચેલેન્જ બનશે.
રેલવે બોર્ડનાં પૂર્વ સલાહકાર સુનીલ કુમારનું કહેવું છે કે ભારતીય રેલવેનું નેટવર્ક એટલું સક્ષમ છે કે માત્ર 4 કલાકના સમયમાં જ પેસેન્જર ટ્રેન શરુ કરી શકે છે. નોંધનીય છે કે રેલવેમાં ટ્રેન ચલાવવા માટે પાટાઓની સારસંભાળ તથા સિગ્નલિંગ વગેરે કામ માટે 4 કલાકનો ઓછામાં ઓછો સમય જરૂરી છે.
દેશભરમાં પેસેન્જર ટ્રેન બંધ થઇ ગઈ હોવાના કારણે માલગાડી વધુ ઝડપથી સામાન પહોંચાડી રહી છે. વિવિધ રાજ્યમાં શાકદૂધ અને અનાજ પહોંચાડવામાં માલગાડીઓની મદદ લેવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનમાં સૂનકાર વ્યાપી ગયો છે. કોઈ પણ વ્યક્તિ પ્લેટફોર્મ પર આવતું નથી છતાં દરરોજ તેને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. આમ રેલવે તો તૈયાર છે પરંતુ સૌથી પહેલી પ્રાથમિકતા લોકોની સુરક્ષાને આપવામાં આવશે.