કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમના સતત ક્રિકેટ રમવાથી ચિંતિત છે. કોહલી માને છે કે એ દિવસો દૂર નથી કે જ્યારે ક્રિકેટરો સીધા સ્ટેડિયમમાં લેન્ડ કરશે અને મેચ રમશે. કોહલીની આ ચિંતા વાજબી પણ છે, કારણ કે છેલ્લા આઠમાં ટીમ ઇન્ડિયા મેદાન પર રહી છે અને સરેરાશ દર ચોથા દિવસે મેચ રમી છે. ગત જૂનથી અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ, વિન્ડીઝ, અમેરિકા અને ભારતમાં ૧૯ વન ડે, ૧૫ ટી-૨૦ અને સાત ટેસ્ટ મેચ રમી ચૂકી છે. આ બધી મેચોમાં એક-એક દિવસ પ્રેક્ટિસ માટેનો જોડી દેવામાં આવે તો આઠ મહિનામાં ટીમ ઇન્ડિયા ૧૨૪ દિવસ મેદાન પર રહી, એટલે કે લગભગ દર બીજા િદવસે.
ગત જૂનથી ટીમ ઇન્ડિયા કેટલા દિવસ મેદાન પર રહી તેના પર એક નજર કરીએઃ
જૂન-૨૦૧૯ઃ ૭ દિવસ મેદાન પરઃ ભારતીય ટીમ તા. ૫ જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે ૧૧ દિવસ મેદાન પર રહી. સરેરાશ પાંચમા દિવસે એક મેચ રમી. જૂનમાં ઈંગ્લેન્ડનાં ચાર શહેરો- સાઉથમ્પટન, નોર્ટિંગહમ, માન્ચેસ્ટર અને બર્મિંગહમમાં સાત વન ડે મેચ રમી.
જુલાઈ-૨૦૧૯ઃ ચાર દિવસ મેદાન પરઃ ભારતીય ટીમ ત્રણ શહેરમાં ત્રણ વન ડે મેચ રમી અને ચાર દિવસ મેદાન પર રહી. એક દિવસ વધારે એટલા માટે બતાવવો જ પડે છે, કારણ કે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપની સેમિફાઇનલ વરસાદને કારણે બે દિવસમાં પૂરી થઈ હતી.
ઓગસ્ટ-૨૦૧૯ઃ સૌથી વધુ ૧૪ દિવસ મેદાન પરઃ
ટીમ ઇન્ડિયા આઠ મહિનામાં સૌથી વધુ ૧૪ દિવસ ઓગસ્ટમાં મેદાન પર રહી. ટીમ ત્રણ ટી-૨૦, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમી. આ આઠ મેચ માટે ટીમ ઇન્ડિયાએ અમેરિકા અને વિન્ડીઝનાં પાંચ શહેરોનો પ્રવાસ કર્યો, જેમાં લોડરહિલ, પોર્ટ ઓફ સ્પેન, એન્ટિગા અને જમૈકાનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર-૨૦૧૯ઃ સૌથી ઓછા ત્રણ દિવસ મેદાન પરઃ સપ્ટેમ્બર મહિનામાં ટીમ ઇન્ડિયાને થોડી રાહત મળી હતી. એ દરમિયાન ભારત દક્ષિણ આફ્રિકા સામે ફક્ત ત્રણ ટી-૨૦ મેચ રમ્યું એઠલે કે માત્ર ત્રણ જ દિવસ ટીમે મેદાન પર રહેવું પડ્યું.
ઓક્ટોબર-૨૦૧૯ઃ ૧૩ દિવસ મેદાન પરઃ ગત ઓક્ટોબરમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ રમી અને ૧૩ દિવસ મેદાન પર રહી. પુણે અને રાંચી ટેસ્ટ ચાર-ચાર દિવસમાં પૂરી ના થઈ હોત તો તેણે વધારે સમય મેદાન પર રહેવું પડત.
નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૯ઃ ૧૫ દિવસ મેદાન પરઃ ભારતીય ટીમે આ સમયગાળા દરમિયાન ૧૫ દિવસ મેદાન પર વિતાવ્યા. આ દરમિયાન ટીમ ૧૧ મેચ રમી. બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ મેચ, વિન્ડીઝ સામે ત્રણ ટી-૨૦ અને ત્રણ વન ડે મેચ રમી.
જાન્યુઆરી-૨૦૨૦ઃ ૧૦ દિવસ મેદાન પરઃ ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-૨૦ અને ત્રણ વન ડે મેચ રમી ચૂકી છે. ટીમ છ દિવસ મેદાન પર રહી છે. આજથી ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ શ્રેણીની ચાર મેચ જાન્યુઆરીમાં જ રમાવાની છે. આથી ટીમ ઇન્ડિયા વધુ ચાર દિવસ મેદાનમાં વિતાવશે, એટલે કે આ જાન્યુઆરી પૂરો થતાં સુધીમાં ટીમ ઇન્ડિયા કુલ ૧૦ દિવસ મેદાનમાં રહેશે.
BCCIનો સવાલઃ પહેલાં શા માટે નારાજગી ના જણાવી?
વિરાટ કોહલીના નિવેદન પર BCCIના અધિકારી નારાજ છે. તેમણે જણાવ્યું કે આ વાતની જાણકારી અગાઉથી જ ખેલાડીઓને હતી. આ સ્થિતિમાં તેમણે મીડિયા સાથે વાત ન કરવી જોઈએ. બધાને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ બોર્ડે તે પણ શક્ય હોય તે પ્રવાસ માટે કર્યું છે. એ જ કારણ છે કે વર્લ્ડકપ બાદ આપણે સિરીઝ રમ્યા, પરંતુ દિવાળીના સમયે બધા ખેલાડીઓને બ્રેક આપ્યો હતો. BCCIના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે જો કોહલી અથવા ટીમના અન્ય ખેલાડીઓે પરેશાની હોય તો તેમણે બોર્ડના સચિવ સાથે વાત કરવી જોઈએ, મીડિયા સાથે નહીં.