પોરબંદરઃ ગુજરાતના સંવેદનશીલ સમુદ્ર કિનારાની સુરક્ષા માટે વધુ એક જહાજ તૈનાત કરવામાં આવ્યુ છે. આઈ.સી.જી.એસ. સુર નામના જહાજને પોરબંદર ખાતે લાવવામાં આવ્યુ છે. અને તેમની વેલકમ સેરેમનીનો કાર્યક્રમ કોસ્ટગાર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આતંકવાદીઓ અવારનવાર ગુજરાતની સમુદ્રી સીમાનો ઉપયોગ કરતા હોય ત્યારે આ સમુદ્રી સીમાની સુરક્ષા એટલી જ મહત્વની છે. આ ઉપરાંત દરીયાઈ પ્રદુષણ અટકાવવા અને માછીમારોને બચાવવાની રાહતકામગીરી માટે કોસ્ટગાર્ડ હંમેશા સર્તક રહ્યું છે ત્યારે ગુજરાત કોસ્ટગાર્ડમાં વધુ એક આધુનિક જહાજ આઈ.સી.જી.એસ. સુર નામના જહાજને પોરબંદર ખાતે લાવવામાં આવ્યુ છે.
ર૦૧૬માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે ગોવા ખાતે આ શીપ કાર્યાન્વીન્ત કરવામાં આવ્યુ હતુ. આ જહાજની વિશેષતા ઉપર નજર કરીએ તો તોફાની દરિયામાં આઈ.સી.જી.એસ સુર નામનું જહાજ ખુબ જ ઉપયોગી બની રહેશે અને આ જહાજને પોરબંદર ખાતે તૈનાત રાખવામાં આવશે.
ICGS શુર બનશે ગુજરાતનું નૂર
આઈ.સી.જી.એસ સુર નામના આ જહાજની લંબાઈ ૧૦પ મીટરની છે. તેમાં હેલીકોપ્ટર લઈ જવાની પણ ક્ષામતા છે આ ઉપરાંત આધુનિક ઉપકરણોથી પણ સુસજજ આ જહાજ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કામગીરી કરી શકે તેમ છે. ભારતીય તટરક્ષક દળ પાસે આ પ્રકારના બે જહાજો છે. આ ઉપરાંત પાંચ જેટલા પેટ્રોલીંગ જહાજો ૧૬ ઈન્ટરસેપ્ટર બોટ ત્યારબાદ આઈ.સી.જી.એસ સુરનો પણ ગુજરાત કોસ્ટગાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રીતે ગુજરાતની સમુદ્રી સીમાની સુરક્ષા અને બચાવ રાહતકામગીરી માટે આધુનિક શીપનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કોસ્ટગાર્ડની પોરબંદર ખાતે આવેલી જેટી ખાતે આ જહાજને આવકારવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વેલકમ સેરેમનીના કાર્યક્રમ દરમ્યાન હેલીકોપ્ટની મદદથી બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.