જમ્મુ કશ્મીર બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. આતંકવાદીઓને સમુદ્રી માર્ગે ભારત પર હુમલા કરવા ઉશ્કેરી રહ્યું છે. ઈમરાન ખાન પોતે જ ભારતમાં પુલવામા જેવા આતંકી હુમલાઓ થવાની શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે હાલ ભારતીય નેવીને એકદમ અલર્ટ રહેવાની સૂચના અપાઈ છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે પાકિસ્તાનના આતંકીઓ સમુદ્ર મારફતે ભારત પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સમુદ્રી જેહાદનું ષડયંત્ર રચી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખતા ભારતીય નેવી પણ સંપૂર્ણ તૈયાર છે. નેવીને હાઈ-અલર્ટ પર રખાઈ છે.
પૂર્વ અને પશ્ચિમ એમ બંને સમુદ્રી સરહદે મુંબઈ જેવા કોઈ આતંકી હુમલાના જોખમને ટાળવા માટે જહાજ અને એરક્રાફ્ટ 24 કલાક હાઈ અલર્ટ પર છે. નેવી કોઈ પણ પ્રકારની હરકતનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. ભારતની સરહદે સમુદ્રી સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની હિલચાલને નિષ્ફળ બનાવાવા માટે ચોક્કસ દેખ-રેખ રખાઈ રહી છે. નેવી હાઈ એલર્ટ પર છે, આતંકવાદની દરેક કોશિશને રોકવા અને તેને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈ પણ પ્રકારના દુસ્સાહસનો પુરી તાકાતથી જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો આતંકવાદીઓને સમુદ્રી જેહાદ સહિત સમુદ્ર માર્ગે હુમલા કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. જેને પગલે ગઈકાલથી જ ભારતીય નૌકાદળના તમામ જહાંજો અને સ્ટેશનો હાઈ એલર્ટ પર છે. ભારતીય સેના સરહદે કોઈ પણ પ્રકારના પડકારનો જવાબ આપવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલા બાદ ભારતીય નેવીએ ઉત્તરીઅરબ સાગરમાં એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય, પરમાણું સબમરિન ચક્ર, 60 જહાજ અને લગભગ 80 એરક્રાફ્ટને ઓપરેશન મોડ પર રખાયા છે.