જામનગરમાં INS વાલસુરા દ્વારા બીટિંગ-ધ-રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુદ્ધ સમયે દિવસની પૂર્ણાહુતી બાદ જવાનો દ્વારા કરાતા શૌર્ય પૂર્ણ કરતબો અને પરેડ સહિતના કાર્યક્રમ રજુ કરાયા હતા. યુદ્ધ કળા, પરેડ અને શૌર્ય પૂર્ણ કરતબો તેમજ બેન્ડ સહિતના કાર્યક્રમોને બીટિંગ-ધ-રીટ્રીટ સેરેમનીમાં સમાવી લેવાય છે.
આજે ભારતીય નૌસેના દિવસની દેશભરમાં ઉજવણી
જામનગરમાં INS વાલસુરા દ્વારા બીટિંગ-ધ-રીટ્રીટ સેરેમનીનું આયોજન
4 ડિસેમ્બર 1971ના પરાક્રમને યાદ કરી રહ્યો છે દેશ
જામનગર નજીક વાલસુરા ખાતે ઇન્ડીયન નેવી દ્વારા દર વર્ષે નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરાયા બાદ આજે નેવી દિવસની જોમ જુસ્સા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમ બીટિંગ-ધ-રીટ્રીટ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
યુદ્ધ દરમિયાન દિવસની સમાપ્તિ બાદ ફોજ દ્વારા જે કાર્યક્રમો-કરતબો યોજવામાં આવી છે તે જ કાર્યક્રમ પ્રસ્તુત કરાયા હતા. વાલસુરા નેવી ટ્રેનિંગ સેન્ટરના જવાનો દ્વારા પરેડ, સલામી અને બેન્ડ પરેડ યોજાઈ હતી.
પરેડમાં હથિયારધારી નેવી જવાનોએ કરતબો રજુ કર્યા હતા. દેશના રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. પાકિસ્તાન સામેના યુધમાં કરાચી હાર્બરને નાબુદ કરવામાં નેવીએ ભજવેલી ભૂમિકાને લઈને દર વર્ષે 4થી ડિસેમ્બરના રોજ નેવી ડે ઉજવવામાં આવે છે.
જામનગર ખાતે શાનદાર બેન્ડ કોન્સર્ટ
ભારતીય નૌકાદળ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે. 3 દિવસ અગાઉ ભારતીય નૌકાદળ સપ્તાહ અંતર્ગત જામનગર ખાતે શાનદાર બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. INS વાલસુરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ ગીત-ધૂન પર સુરાવલી છેડવામાં આવી હતી. નૌ સેનાના બેન્ડ દ્વારા કોર્નફિલ્ડ રોક, ચેરી પિંક, ટુ ઈમ્પ્સ, રાગ નટ્ટા સહિતની સુરાવલીથી નૌસેના કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. આ બેન્ડ દ્વારા જયારે સારે જહાં સે અચ્છાની ધૂન પ્રસ્તુત કરવામાં આવી હતી. આ વાતાવરણ દેશભક્તિમય બન્યું હતુ. આ કાર્યક્રમની સમાપ્તિ પહેલા ભારતીય સેનાની ત્રણેય પાંખનાં સંયુક્ત ગીત જય ભારતી પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ કાર્યક્રમ શહેરમાં યોજાય છે પરંતુ આ વખતે કોરોનાના ખતરાને લઈને પ્રથમ વખત નેવી સેન્ટરમાં યોજાયો હતો.
ભારતીય નેવીની સ્થાપના ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1612માં કરી હતી. પહેલા નેવીનું નામ રોયલ ઈન્ડિયન નૌસેના અપાયું હતું. ભારત આઝાદ થયા બાદ નેવીનું 1950માં પુર્નગઠન કરાયું. ભારતીય નેવી વિશ્વમાં પાંચમી સૌથી મોટી નેવી છે. 1971ના યુદ્ધમાં ભારતીય નેવીએ અદભૂત કારનામા બતાવ્યા. કરાચીમાં પાકિસ્તાનને ઈન્ડિયન નેવીએ તબાહ કરી દીધું હતું. 4 ડિસેમ્બર 1971ના દિવસે ભારતે ઓપરેશન ટ્રાઈડેંટ કર્યું હતું. કરાચી બંદર પર ભારે બોમ્બમારો કર્યો હતો. કરાચી બંદરને તબાહ કરાયું તેની યાદમાં નૌસેના દિવસ ઉજવાય છે. બાંગ્લાદેશ મુક્તિ દરમિયાન ભારતની ત્રણેય સેનાએ શૌર્ય બતાવ્યું હતું. ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનની PNS ગાજીએ સબમરીનને દફન કરી હતી. ગાજીને દફન કરવામાં INS વિક્રાંતે મહત્વની ભૂમિકા નિભાવી હતી.