ભારતીય નૌસેનાના જવાનો માત્ર ભારતીય સીમાની જ સુરક્ષા નહીં પરંતુ ભારતથી અનેક કિલોમીટર દૂર મોઝાંબિકમાં પણ પોતાની વીરતાનો પરિચય આપી રહ્યા છે. ખતરનાક ચક્રવાત ઇદાઇનો સામનો કરી રહેલા મોઝાંબિકમાં નેવીના જવાન દેવદૂત બનીને લોકોની મદદ કરી રહ્યા છે. ચક્રવાત પ્રભાવિત મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ 192થી વધુ લોકો સુરક્ષિત બચાવી લીધા છે.
આરોગ્ય શિબિરમાં 1381 લોકોને સહાય પહોંચાડી છે. આ સાથે જ 36 ભારતીયોને પણ મુક્ત કરાવી લીધા છે. વિદેશ મંત્રાલયના કહેવા મૂજબ મોઝામ્બિક સરકારના આગ્રહ પર ભારતે તત્કાલ કાર્યવાહી કરી અને નૌસેનાની 3 બોટ બીરા પોર્ટ મોકલી હતી. ઇદાઇ ચક્રવાતના કારણે બીરા શહેરમાં સૌથી વધુ લોકોના મોત નિપજ્યા છે. બીરા શહેરમાં એરપોર્ટ બંધ કરી દેવાયા છે તો વીજળી ડૂલ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ આફ્રિકન દેશ મોઝામ્બિક, ઝીમ્બાબ્વે અને મલાવીમાં ત્રાટકેલું ઇદાઇ વાવાઝોડાંની અસર હજુ પણ જોવા મળી રહી છે. મોઝામ્બિકના રેસ્ક્યૂ વર્કર્સે અહીં કોલેરા, મરડો અને મલેરિયા જેવા રોગ ફાટી નિકળવાની ચિંતા વ્યક્ત કરી છે. મોઝામ્બિકના પ્રેસિડન્ટે કહ્યું હતું કે, આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયા છે.
મોઝામ્બિકના પોર્ટ સિટી બેરામાં 14 માર્ચે ત્રાટકેલાં વાવાઝોડાંમાં 500,000થી વધુ લોકોને જોખમ છે. ઝિમ્બાબ્વેમાં 360 લોકોનાં મોત થયા હતા. આ ત્રણેય દેશોના 2.6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. ઇદાઇ વાવાઝોડાંમાં મકાનો, શાળા અને મેડિકલ સેન્ટર્સ પણ નષ્ટ થઇ ગયા છે. અતિશય વરસાદના કારણે પૂર આવ્યું છે જેના કારણે ખેતીને નુકસાન થયું છે. હેલ્થ સર્વિસ અને ક્લિનિક્સ નષ્ટ થયા છે અને વોટર સપ્લાય પણ બંધ થઇ ગયું છે.