પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં તૌકતે વાવાઝોડાએ મહાવિનાશ સર્જ્યો છે ત્યારે હવે વધુ એક વાવાઝોડાએ ટેન્શન વધાર્યુ છે.
બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહ્યું છે લો પ્રેશર
હવામાન ખાતાએ આપ્યું અલર્ટ
જૉ લો પ્રેશર વાવાઝોડું બને તો ઓરિસ્સાને ટકરાઇ શકે એવી સંભાવના
એક ગયું ત્યાં બીજું વાવાઝોડું કતારમાં
તૌકતે વાવાઝોડાએ બે દિવસમાં આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું. રાજ્યમાં પ્રાથમિક ડેટા અનુસાર 3 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વાવાઝોડાના કારણે જ્યાં ગુજરાત હજુ રાહત બચાવની કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજું વાવાઝોડું કતારમાં જ છે. અરબી સમુદ્રમાં વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. આ વાવાઝોડાની અસર મુખ્ય રૂપે 23મી મેના રોજ શરૂ થશે.
લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે જે વાવાઝોડું બની શકે
હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેની અસર 23 મી મેથી દેખાવાની શરૂ થશે. હવામાન ખાતું સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે તથા જૉ તે મોટા તોફાનમાં ફેરવાઇ જાય છે તો તેને YAAS નામથી ઓળખવામાં આવશે અને તે ઓડિશા રાજ્યના ભુનેશ્વર શહેરના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.
હવામાન ખાતાએ આપ્યું અલર્ટ
હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે તે 23-24 મેના રોજ સાઈક્લોનમાં બદલાઈ શકે છે તથા 27થી 29 મેની વચ્ચે તે જમીન પર લેન્ડ ફોલ કરી શકે છે. હાલની આગાહી અનુસાર વાવાઝોડું લેન્ડફોલ કરે ત્યારે પવનની ગતિ 140-150 પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન ખાતાના સુનિતા દેવીએ કહ્યું કે બંગાળની ખાડીમાં એવી પરિસ્થિતિઑ બની રહી છે જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે.
પશ્ચિમ તબાહી, હવે પૂર્વમાં ફફડાટ
નોંધનીય છે કે તૌકતે વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયું હતું અને દક્ષિણમાં કેરળ, કર્ણાટક, ગોવામાં ભારે તબાહી મચાવ્યાં બાદ સીધું ગુજરાત પર ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની વ્યાપક અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. આમ દક્ષિણ તથા પશ્ચિમ ભારતમાં વાવાઝોડાની તબાહી બાદ હવે પૂર્વમાં YAAS નામક વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે અને જૉ વાવાઝોડું પોતાના વેગને પ્રચંડ કરે છે તો પૂર્વ ભારતમાં મોટું નુકસાન સર્જાઇ શકે છે.