ઇન્ડિયન મેડીકલ એસોસિયેશને આજરોજ એક નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશના ડોક્ટરો હ઼ડતાલ પર ઉતરશે. ઇન્ડિયન મેડીકલ એસોસિયેશને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે દવાખાનામાં ડોક્ટરોની સુરક્ષા ઇચ્છીએ છીએ. કોલકત્તામાં મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ ખુબ જ ડરેલા છે, રસ્તાઓ પર હિંસા શરૂ થઇ ગઇ છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, સમાજ અમારો સાથ આપે અને અમે ઇચ્છીએ છીએ કે, કોલકત્તામાં થયેલ હિંસાના આરોપીઓને સજા થાય. આ સાથે જ વધુમાં કહ્યું કે, દવાખાનામાં થનારી હિંસા માટે અલગથી એક પ્રકારનો કાયદો બનાવવામાં આવે આ સાથે જ અમે જાહેરાત કરીએ છીએ કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાલ રહેશે. આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવશે.
IMA ના સેક્રેટરીએ કહ્યું હતું કે, આગામી 17 તારીખના રોજ દેશના તમામ ડોક્ટરોની હડતાલ જાહેર કરવામાં આવી છે. આ હડતાલમાં ખાનગી દવાખાનાઓ પણ ભાગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ છાશવારે થાય છે, જેથી અમે પણ ઇચ્છીએ છીએ કે, આ મામલે એક ચોક્કસ કાયદો બનાવવામાં આવે અને આ પ્રકારની હરકત કરનાર સામે કડક પગલા લઇ દંડ ફટકારવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે, 19 રાજ્યોમાં સેન્ટ્રલ એક્ટ એગેઇન્ટસ વાયોલન્સ ઇન હોસ્પિટલ પાસ થઇ ચૂક્યો છે પરંતુ એક રાજ્યમાં આ પ્રકારનો કાયદો પાસ હજી સુધી થઇ શક્યો નથી. અમને ખબર છે કે, દર્દીઓએ આ હડતાલ દરમિયાન હાલાકી ભોગવવી પડશે પરંતુ અમારી પણ સુરક્ષા જરૂરી છે.
આ હડતાલ દરમિયાન તમામ પ્રકારની ઇમરજન્સી સારવારા ચાલુ રાખવામાં આવેલ છે. 17 તારીખે સવારે 6 વાગ્યાથી શરૂ કરીને 18 તારીખે સવારે 6 વાગ્યા સુધી દેશના તમામ ડોક્ટરો હડતાલ પર ઉતરશે