IPLની સિઝન પૂરી થઈ ચૂકી છે. હવે ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ઈંગ્લેન્ડમાં ૩૦ મેથી શરૂ થઈ રહેલા આઇસીસી વર્લ્ડકપ પર ટકેલી છે. વિરાટની સેના સાઉથમ્પ્ટનમાં પાંચ જૂનથી પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ક્રિકેટ ચાહકો ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા ઈંગ્લેન્ડ પહોંચવા માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે.
ચાહકો ઉપરાંત ઘણાં કોર્પોરેટ ગ્રૂપ પણ વર્લ્ડકપનો આનંદ ઉઠાવવા ઈંગ્લેન્ડ જશે. આ કોર્પોરેટ ગ્રૂપોએ ટ્રાવેલ કંપનીઓ સામે એક અનિવાર્ય શરત પણ મૂકી છે. આ કોર્પોરેટ ગ્રૂપોએ ટ્રાવેલ કંપનીઓને કહ્યું છે કે પેકેજમાં ભારત-પાક. મુકાબલાની ટિકિટ સામેલ થવી જોઈએ. બ્રિટિશ હાઈકમિશનના જણાવ્યા અનુસાર લગભગ ૮૦,૦૦૦ જેટલા ભારતીય વર્લ્ડકપ જોવા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી શકે છે.
આ અનુમાન ગત ટૂર્નામેન્ટ દરમિયાન ઈંગ્લેન્ડનો પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યા અને છેલ્લી ભારત-ઈંગ્લેન્ડ ટ્રાવેલ્સ ટ્રેન્ડના આધારે લગાવવામાં આવ્યું છે. કમિશને એવું પણ સ્પષ્ટ કર્યું કે અમે એ વાતનું અનુમાન નથી લગાવી શકતા કે સમગ્ર દુનિયામાંથી કેટલાક લોકો વર્લ્ડકપ જોવા ઈંગ્લેન્ડ આવશે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈંગ્લેન્ડ જનારા ચાહકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હશે. આ વાત અમે ભારતીય બજારના આકાર, રમત પ્રત્યેનું ઝનૂન અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મોટી સંખ્યામાં ફ્લાઇટની ઉડાનને જોતાં કહી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફોર્ડમાં તા. ૧૬ જૂને પાકિસ્તાન સામે અને ૧૪ જુલાઈએ લોર્ડ્સમાં રમાનારા ફાઇનલ મુકાબલાની ટિકિટની ડિમાન્ડ સૌથી વધુ છે.
એ પણ સંયોગ જ છે કે વર્લ્ડકપ ફાઇનલની સાથે સાથે ઈંગ્લેન્ડમાં અન્ય બે મોટી ટૂર્નામેન્ટનું પણ આયોજન થશે. વર્લ્ડકપ ફાઇનલના આયોજનથી વિમ્બલ્ડન ટેનિસ ફાઇનલ અને સિલ્વરસ્ટોન એફ-૧ ગ્રાં પ્રીનું આયોજન થશે.
એક ટ્રાવેલ કંપનીના સંચાલકનું કહેવું છે કે ઉનાળામાં ઈંગ્લેન્ડ જનારા લોકોની સંખ્યામાં અમે ૪૫ ટકાનો વધારો જોઈ રહ્યા છીએ. આની પાછળ સૌથી મોટું કારણ વર્લ્ડકપ છે. ગત માર્ચ-એપ્રિલમાં જ ૧,૩૨,૦૦૦થી વધુ ભારતીયોએ ઈંગ્લેન્ડના વિઝા માટે આવેદન કર્યું છે.