અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય અને નાટો સૈન્યદળોની પીછેહઠ બાદ હવે તાલિબાનોનો ખતરો વધી ગયો છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્ય પાછુ બોલાવી લીધું હતું
તાલિબાનોનો વધતો જતો ખતરો
ભારતીય દૂતાવાસે ભારતીયોને આપી ચેતવણી
અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા સિક્યોરીટી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અમેરિકાએ સૈન્ય પાછું ખેંચ્યા બાદ હવે તાલિબાનોના વધતાં ખતરાને પગલે આ અડવાઇઝરી સલામતી અને સુરક્ષાનાં હેતુથી જાહેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં હવે યુદ્ધગ્રસ્ત દેશ જેવી સ્થિતિ સર્જાઇ ગઈ છે.
દૂતાવાસે શું કહ્યું?
ભારતીય દૂતાવાસ દ્વારા ભારતીય નાગરિકોને અફઘાનિસ્તાનમાં રહેવા, મુલાકાત લેવા કે કામ કરવા આવનાર તમામ નાગરિકોને ખૂબ સાવચેત રહેવા માટે જણાવાયું હતું. તેમને અકારણ મુસાફરી કરવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. આ સિવાય તેમને બિનજરૂરી ચહલપહલ હાલ પૂરતી મોકૂફ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.
અમુક વિસ્તારો માટે જાહેર કરવામાં આવી સૂચનાઓ
આ સિક્યોરીટી અડવાઇઝરી અફઘાનિસ્તાનની સલામતી સ્થિતિને ધ્યાનમાં લેતા તમામ ભારતીયો માટે જાહેર કરવામાં આવી છે. આતંકી સંગઠનો દ્વારા સ્થાનિક નાગરિકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાથી આ કરવાની ફરજ પડી હતી. તાલિબાનો હવે વધારે હિંસક અને હુમલાખોર બની હોવાથી ભારતીયો પણ તેમના ટાર્ગેટ લિસ્ટમાં આવી ગયા છે. ભારતીય નાગરિકો પર અપહરણનો ખતરો પણ તોળાઈ રહ્યો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
ભારતીયોને તમામ સંભવિત ટાર્ગેટથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. જેમાં બસો,સરકારી વાહનો, જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ્સ અને બીજા ભીડભાડ વાળા સ્થળોથી દૂર રહેવા માટે જણાવાયું હતું.
IED બ્લાસ્ટ થવાની સંભાવના
દૂતાવાસ દ્વારા સડક સહિત નાગરિકોના વાહનોમાં IED બ્લાસ્ટ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય શહેરોની બહાર મુસાફરી કરવાનું ટાળવું જોઈએ અને સાથે ભારતીયોએ https://eoi.gov.in/kabul/ આ લિન્ક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ.
તાજેતરમાં જ થઈ હતી અથડામણ
તાજેતરમાં તાલિબાનોએ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક હુમલો કર્યો હતો. અગાઉ અફઘાનિસ્તાન એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 30 તાલિબાનોના મૃત્યુ થયા હતા. આ સિવાય 17 તાલિબાનોને ઇજા થઈ હતી.