વિશ્વ સ્તર પર ફુટબોલ બાદ ક્રિકેટની ગેમ ઝડપથી લોકપ્રિય બની છે. આ જ કારણ છે કે નવા ખેલાડીઓમાં પણ ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં તો ક્રિકેટ માટેની ઘેલછા કેટલી છે તે જણાવવાની જરૂર નથી અને IPL જેવી લીગ આવ્યા બાદ તેમાં વધારો થયો છે.
દરરોજ એક નવો ખેલાડી સામે આવી રહ્યો છે અને પોતાના પ્રદર્શનથી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરે છે.
દરેક ક્રિકેટર ઇચ્છે છે કે તે ભારત માટે ડેબ્યૂ કરીને ટીમને જર્સી અને ટોપી પહેરે. ટીમની જર્સીની વાત કરવામાં આવે તો તેની પાછળ લખેલા નંબરની કહાની રસપ્રદ છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટર્સની કારણ કે અહીં દરેક ખેલાડી પોતાની જાતે જ પોતાની જર્સીનો નંબર પસરંદ કરે છે. તેવામાં ચાલો જાણીએ ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓની જર્સી નંબર વિશે.
સચિન તેંડુલકર:
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનની જર્સીનો નંબર 10 છે. એક ઇન્ટરવ્યુમાં સચિને જણાવ્યું હતું કે તેની સરનેમમાં ટેન લખેલું છે તેથી તેણે પોતાની જર્સી માટે 10 નંબર પસંદ કર્યો.
વિરાટ કોહલી:
મોર્ડન ક્રિકેટના સચિન કહેવાતા વિરાટ કોહલીની જર્સીનો નંબર 18 છે. આ નંબરની પાછળની કહાની જણાવતા તેણે કહ્યું હતું કે અંડર-19થી ક્રિકેટ રમતી વખતે તેને આ નંબર આપવામાં આવ્યો હતો અને તે તેના માટે લકી સાબિત થયો હતો. તેણે આ નંબર સાથે જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તેથી તેણે 18 નંબરની જર્સી પહેરવાનું શરૂ કરી દીધું.
રાહુલ દ્રવિડ:
ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની વૉલના નામે જાણીતા રાહુલ દ્રવિડ પહેલા 5 નંબરની જર્સી પહેરતા હતાં પરંતુ પછીથી તેમણે 19 નંબરની જર્સી પહેરવાનું શરૂ કરી દીધું. દ્રવિડની પત્નીનો જન્મદિવસ 19 તારીખે છે જેને તે પોતાના માટે લકી માને છે. તેથી તેમણે 19 નંબરની જર્સી પહેરવાનું શરૂ કર્યુ હતું.
યુવરાજ સિંહ:
ટીમ ઇન્ડિયાને અનેક મેચ જીતાડનાર યુવરાજની જર્સીનો નંબર 12 છે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. યુવરાજનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ બપોરે 12 વાગ્યે ચંદીગઢના સેક્ટર 12માં થયો હતો. આ જ કારણે યુવરાજ 12 નંબરને લકી માને છે અને તે 12 નંબરની જર્સી પહેરવા લાગ્યો.
મહેન્દ્ર સિંહ ધોની:
દુનિયાના બેસ્ટ ફિનિશર અને કેપ્ટન ધોની હંમેશા 7 નંબરની જર્સી પહેરે છે. તેની પાછળનું કારણ તેનો જન્મ દિવસ છે. ધોનીનો જન્મદિવસ 7 જુલાઇના રોજ છે. ધોનીને ફુટબોલ પણ પસંદ છે. તેમના ફેવરેટ ફુલબોલ પ્લેયર રોનાલ્ડોની જર્સીનો નંબર પણ 7 છે.
રોહિત શર્મા:
ત્રણ બેવડી સેન્ચુરી ફટકારનાર અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માની જર્સીનો નંબર 45 છે. રોહિતની માતાએ તેના માટે આ નંબર પસંદ કર્યો હતો. હકીકતમાં રોહિતનો લકી નંબર 9 છે પરંતુ તે નંબર પહેલાથી જ પાર્થિવ પટેલ પાસે હતો અને એક ટીમમાં બે ખેલાડીઓનો એક જ નંબર ન હોઇ શકે તેથી રોહિતે માતાની સલાહ પર 4+5 =9 નંબર પસંદ કર્યો.
વિરેન્દ્ર સહેવાગ:
ભારત તરફથી ટેસ્ટમાં પ્રથમ ત્રેવડી સેન્ચુરી ફટકારનાર ધાકડ બેટ્સમેન વીરૂના જર્સી નંબરની કહાની રસપ્રદ છે. તે પહેલા 44 નંબરની જર્સી સાથે રમતા હતા પરંતુ કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકતાં તેમણે જ્યોતિષની સલાહ પર 46 નંબરની જર્સી પહેરવાનું શરૂ કરી દીધું. જો કે આ નંબર પણ તેમના માટે લકી સાબિત ન થઇ શક્યો. તે બાદ તેમણે નંબર વિનાની જર્સી પહેરવાનું શરૂ કરી દીધું.