ટીમ ઇન્ડિયાનો ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા 30 વર્ષનો થઇ ગયો છે. ક્યારેક સામાન્ય લાઇફ જીવનારા જાડેજા આજે ક્રિકેટ સેલિબ્રિટી બની ગયો છે. જાડેજાનો જન્મ જામનગરના નવાગામમાં થયો હતો. જાડેજાના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતા જ્યારે માતા નર્સ હતી. આર્થિક સ્થિતી સારી ના હોવાને કારણે જાડેજા અને તેના પરિવાર માટે ક્રિકેટર બનવા સુધીની સફર સરળ નહતી.
મુશ્કેલીમાં વિત્યુ બાળપણ:
- જાડેજાની માતા ઇચ્છતી હતી કે પુત્ર ક્રિકેટર બને જ્યારે પિતા તેને ડિફેન્સમાં મોકલવા માંગતા હતા. જાડેજાની માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તે મહેનત કરી રહ્યો હતો.
- અચાનક 2005માં એક અકસ્માતમાં તેની માતાનું મોત થયુ હતું જેનાથી રવિન્દ્ર જાડેજા એટલો તૂટી ગયો હતો કે તેને ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધુ હતું.
- જોકે બહેનોના કહેવા પર તે ક્રિકેટ રમવા લાગ્યો અને આજે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર છે. જાડેજાની 2 બહેનો છે જેમાંથી એક રેસ્ટોરન્ટ સંભાળે છે.
જાડેજા પાસે છે 2 ઓડી કાર:
- જાડેજાના કાર કલેક્શનમાં 2 ઓડી કાર છે. 2016માં તેના સસરાએ ઓડી Q7 ગિફ્ટ કરી હતી જેની કિંમત આશરે 97 લાખ રૂપિયા છે. આ પહેલા જાડેજા પાસે ઓડી Q3 કાર હતી. કાર સિવાય તેને ઘોડાનો પણ શોખ છે. જાડેજાના ફાર્મ હાઉસમાં કેટલાક શાનદાર ઘોડા છે.
આ રીતે શરૂ થઇ ક્રિકેટ કરિયર:
- જાડેજાને 2002માં પ્રથમ વખત સૌરાષ્ટ્રની અંડર-14 ટીમમાં રમવાની તક મળી હતી.મહારાષ્ટ્ર વિરૂદ્ધ પ્રથમ મેચમાં તેને 87 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ ઝડપી હતી. 15 વર્ષની ઉંમરમાં તે સૌરાષ્ટ્રની અંડર-19 ટીમમાં આવી ગયો હતો. આ ફોર્મેટમાં તેને પોતાની કરિયરની પ્રથમ સદી પણ ફટકારી હતી.
વિરાટ કોહલી સાથે રમ્યો વર્લ્ડકપ:
- ડિસેમ્બર 2005માં તેના કેટલાક સારા પ્રદર્શન બાદ વર્લ્ડકપ અંડર-19 ટીમમાં જગ્યા બનાવી લીધી હતી. અહીં જાડેજાએ પહેલા ઓસ્ટ્રેલિયા (ચાર વિકેટ) અને પછી પાકિસ્તાન (ત્રણ વિકેટ) વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
- 2008માં પણ જાડેજા અંડર-19 વર્લ્ડકપ ટીમનો સભ્ય હતો જેનો કેપ્ટન વિરાટ કોહલી હતો. આ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટમાં જાડેજાએ 10 વિકેટ ઝડપી હતી.
- ફેબ્રુઆરી 2009માં તેને ભારત માટે વન ડે અને પછી ટી-20 રમવાની તક મળી હતી જાડેજાએ 2012માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું.
- જાડેજાને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ટીમમાં જગ્યા નથી મળી. તાજેતરમાં વિન્ડીઝ વિરૂદ્ધ ઘરેલુ સિરીઝ અને એશિયા કપમાં બોલ અને બેટ બન્નેથી જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. જાડેજા આ સિવાય આઇપીએલનો પણ એક કિંમતી પ્લેયર છે.
આ રીતે મળી 'સર રવિન્દ્ર જાડેજા'ની સિદ્ધિ:
2012માં જાડેજા વિશ્વનો આઠમો અને પ્રથમ એવો ભારતીય ક્રિકેટર બન્યો હતો જેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારી હતી. આવુ સર ડૉન બ્રેડમેન બ્રાયન લારા બિલ પૉન્સફર્ડ વૉલ્ટર હેમંડ ડબલ્યૂજી ગ્રેસ ગ્રીમ હિક અને માઇક હસી કરી ચુક્યા છે તે સમયે જાડેજાની ઉંમર માત્ર 23 વર્ષ હતી. તે બાદથી જ તેને 'સર રવિન્દ્ર જાડેજા' તરીકે ઓળખવામાં આવતો હતો.જોકે આ સિદ્ધિ તેને મજાકમાં આપવામાં આવી હતી.