ભારતે બાંગ્લાદેશ સામે ઈન્દોરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ઇનિંગ્સ અને 130 રને જીત મેળવી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 22 નવેમ્બરથી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે. 22 નવેમ્બરથી કોલકાતામાં રમાનારી ડે-નાઇટ મેચની તૈયારી માટે ભારતીય ટીમે ઈન્દોરમાં રોકાવાનો નિર્ણય લીધો છે, ટીમ રવિવારે સાંજે પ્રેક્ટિસ કરશે. બાંગ્લાદેશની ટીમે પણ ભારતીય ટીમની જેમ અહીં જ રોકાવાનું નક્કી કર્યું છે જેથી તેઓ પ્રથમ ટેસ્ટ વહેલા ખતમ થઈ ગયા બાદના સમયનો ઉપયોગ કરી શકે.
કોલકાતા 22 નવેમ્બરથી રમાશે ડે-નાઈટ ટેસ્ટ મેચ
ટીમ ઈન્ડિયા બે મેચની સીરિઝમાં 1-0થી આગળ
તૈયારી માટે ભારતીય ટીમે ઈન્દોરમાં રોકાશે
પિંક બોલથી પ્રેક્ટિસ કરશે ટીમ ઈન્ડિયા
જાણવા મળ્યું છે કે, આગામી બે દિવસ સુધી ભારતીય ટીમનું ધ્યાન સાંજના સમયે પ્રેક્ટિસ પર રહેશે. ગુલાબી બોલથી રમનારા બેટ્સમેનોના જણાવ્યા અનુસાર સાંજે પરિસ્થિતિઓ ખૂબ જ પડકારજનક હોય છે. નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'અમે સાંજે પ્રેક્ટિસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, કેમ કે અમને ખબર નથી કે મેચ વખતે પિંક બોલ કઈ રીતે મૂવ કરશે, તેનો ઉછાળ કેવો રહેશે અને જોવામાં કેટલી તકલીફ પડશે.
સાંજે ગુલાબી બોલ જોવામાં મુશ્કેલી થાય છે
ચેતેશ્વર પૂજારા સહિત દલીપ ટ્રોફીમાં ગુલાબી બોલથી રમનારા ઘણા ખેલાડીઓએ કહ્યું છે કે, સાંજે ગુલાબી બોલ જોવામાં મુશ્કેલી થાય છે, કારણ કે આકાશનો રંગ લાલ થઈ જવાને કારણે બોલ નારંગી રંગ જેવો દેખાય છે. ખેલાડીઓ કાળા રંગની સાઈટસ્ક્રીન સામે પ્રેક્ટિસ કરશે. બંને ટીમ 19 નવેમ્બરે કોલકાતા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, આ ભારતીય ટીમનું પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે. જેથી મોટાભાગના ખેલાડીઓને પિંક બોલ, જે ડે-નાઈટ ટેસ્ટમાં ઉપયોગમાં લેવાય છે તેની સાથે રમવાનો અનુભવ નથી.