કોરોના વાયરસના આતંક વચ્ચે જાપાનના ડાયમંડ પ્રિન્સેસ લક્ઝરી ક્રૂઝમાં ફસાયેલા ભારતીયોએ વીડિયો સંદેશ મોકલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માગી હતી. ક્રૂઝના ક્રૂ મેમ્બર ટીમના રસોઇયા તરીકે ફરજ બજાવતા વિનય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરતા વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, તેઓ ખુબ જ ભયભીત છે અને ઝડપથી અહીંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે.
ક્રૂ મેમ્બર વીડિયોમાં કહી રહ્યો છે કે, 'અમે ખૂબ ડરીએ છીએ. શક્ય તેટલી વહેલી તકે અમારી મદદ કરો. ક્રૂઝ પર હાલમાં 3200 લોકો છે, જેમાં ફક્ત 500 લોકોના નમૂનાની તપાસ કરવામાં આવી છે. અમારા કોઈ પણ નમૂનાની તપાસ થઈ નથી.
વીડિયો દ્વારા કરી વિનંતી
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માસ્ક પહેરેલા વિનયની આસપાસ કેટલાક વધુ લોકો ઉભા છે. તેઓ કહી રહ્યા છે કે તેઓને ક્રૂઝ પરના લોકોથી અલગ થવું જોઈએ અને તેઓને તેમના પોતપોતાના ઘરે પહોંચાડવામાં આવે.
કૂઝ પર 162 ક્રૂ મેમ્બર હાજર
વિનય કહી રહ્યો છે, 'ક્રુઝ પર ક્રૂના 162 સભ્યો છે. કેટલાક ભારતીય મુસાફરો પણ છે. હાલમાં, 90 ટકા લોકો ચેપથી બચેલા છે. હું ખાસ કરીને મોદીજીને કહેવા માંગુ છું કે કૃપા કરીને અમને વહેલી તકે અહીંથી બહાર કાઢવાનો પ્રયાસ કરો.
મોદી સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર પાસે માગી મદદ
તે કહી રહ્યો છે કે જો જાપાનની સરકાર તેમની મદદ કરવામાં સમર્થ નથી, તો ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ તેમને મદદ કરવા સીધા આગળ આવવું જોઈએ. જો ચેપ ફેલાઇ ગયો તો પછીની મદદનો કોઇ ઉપયોગ રહેશે.
ક્રૂઝ પરના 130 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ
આપને જણાવી દઇએ કે, યોકોહામથી શરૂ થયેલ આ જહાજમાંથી 25 જાન્યુઆરીના રોજ હોંગકોંગમાં એક યાત્રી ઉતર્યો હતો. જે કોરોનાની લપેટમાં આવેલો હોવાની વાત પાછળથી ખબર પડી હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, ક્રુઝ પર 130 લોકો કોરોનાના ચેપનો ભોગ બની ચૂક્યા છે. જેમાંથી 66 લોકો નવા છે.