ભારતની ટોચની કોર્પોરેટ કંપનીઓનો IIT IIMના વિદ્યાર્થીઓને નોકરીમાં પહેલી પસંદગી આપવાનો અને કેટલીક કંપનીઓનો તો ફક્ત IIT IIMના વિદ્યાર્થીઓને નોકરી પર રાખવાનો દુરાગ્રહ જાણીતો છે. જો કે આ આગ્રહ લાંબા ગાળે કંપની માટે નુકશાનકારક છે સામાન્ય કોલેજના વિદ્યાર્થીને નોકરી આપવાથી કંપનીને ઘણા ફાયદા મળી શકે છે.
2016માં લખાયેલા પુસ્તક Alibaba: The House That Jack Ma Builtના લેખક ચાઈનીઝ બિઝનેસમેન જેક મા વિષે લખે છે કે જયારે અલીબાબા તેના પ્રાથમિક તબક્કામાં હતું ત્યારે જેકે નોકરી આપવા માટે હંમેશા સૌથી હોશિયાર લોકો કરતા થોડી નીચી પાયરીના લોકોને પ્રાથમિકતા આપી. જેકના મતે વધુ પડતા હોશિયાર લોકોની ધીરજ ઝડપથી ખૂટી જાય છે અને દુનિયાની વાસ્તવિક સમસ્યાઓનો સામનો તેઓ નથી કરી શકતા.
જેક માના આ વિચારો કરતા ભારતીય કંપનીઓ જુદી જ વિચારધારામાં ચાલે છે. અહીં તેમણે દેશની ટોચની સંસ્થાઓ સિવાય કર્મચારીઓ રાખવા જ નથી. દેશની એક ટોચની ઈ કોમર્સ કંપની તો ફક્ત IIT દિલ્હીની એક ચોક્કસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને રાખવાનો આગ્રહ રાખે છે.
દેશની મોટી ટેક્નોલોજી કંપનીના સ્થાપકો પોતે ટોચની કોલેજોમાંથી ભણ્યા છે. તેઓ સ્વાભાવિક રીતે IIT સ્નાતકને નોકરી પર રાખવો તેમની પ્રાથમિકતા ગણે છે.
ભારતનો IIT IIMનો મોહ
આ પ્રકારનો પૂર્વગ્રહ ભારતીય સમાજ સાથે વર્ષોથી ચાલ્યો આવે છે જેમાં મધ્યમ વર્ગના માતા પિતા તેમના બાળકોને તેમની સફળતા, પોતાનું મૂલ્ય અને સારા જીવનસાથીને તેમની કોલેજ સાથે જોતરી દે છે. આ જ કારણે આવી કોલેજોમાં ભણતા લોકો એક અભિમાનમાં રાચવા માંડે છે અને ફક્ત તેમના જેવા લોકો સાથે રહેવાનું પસંદ કરે છે.
લોકો એવું માને છે કે આવી કોલેજોમાં એડમિશન માટે ફક્ત હોશિયારીની જરૂર પડે છે પરંતુ કરુણતા એ છે કે આવી કોલેજમાં મસમોટી ફીઝ પણ વસૂલવામાં આવે છે જે ધનિક માતાપિતા સિવાય પોસાય તેવી હોતી નથી.
એ વાત બિલકુલ સાચી છે કે ખૂબ હરીફાઈના કારણે પસંદ થયેલા ઉમેદવારો તેમના ભણતરમાં, સોફ્ટ સ્કિલ્સમાં, અંગ્રેજી ઉપરના પ્રભુત્વમાં વગેરેમાં ખૂબ આગળ હોય છે જે તમામ કોર્પોરેટમાં સફળતા માટે ખૂબ જરૂરી છે.
પરંતુ જે આ પ્રકારની ટોચની કોલેજમાં નથી ગયા હોતા તેઓ પાસે એક મહત્વનો ગુણ હોય છે : પોતાની જાતને સાબિત કરી બતાવવાનો!
નિષ્ણાતોનું માનવું છે કે નાના શહેરો અને કોલેજોના વિદ્યાર્થીઓને નોકરી પર રાખવાના ફાયદા ગણાવતા કહ્યું હતું કે આવા સ્નાતકોને તેમની જાતને ટોચની કોલેજના અને મોટા શહેરોના હરીફોની સામે સાબિત કરી દેવાની એક ભૂખ હોય છે.
તેમણે જણાવ્યું કે મોટા ભાગે ટોચની કોલેજના વિદ્યાર્થીઓ ચોક્કસ પ્રકારની જોબ કરવા માટે જ રાજી હોય છે. તેમને સારા પગારવાળી, તેમની બુદ્ધિમતાનો ઉપયોગ થાય તેવી, અગ્રણી જોબ જ કરવી હોય છે. જેની સામે નાની કોલેજના સ્નાતકો નાના સ્તરની નોકરી પણ લઇ લે છે અને તે સનાતન નિયમ છે કે નીચલા સ્તરે કામ કરીને અનુભવથી ઘડાયેલા કર્મચારી પાસે વધુ સારી સમજણ હોય છે અને તે કંપની માટે વધુ ફાયદાકારક નીવડે છે.
આ ઉપરાંત ભારતના સ્ટાર્ટઅપ્સે ફક્ત મોટા શહેરોમાં જ નહિ નાના નગરોમાં પણ વિકસવાનું હોય છે. આ માટે કંપનીને નાના નગરના લોકોની જરૂર પડે છે. ટોચની કોલેજોમાં છોકરા છોકરીનો રેશિયો ખૂબ ઓછો છે અર્થાત છોકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ ઉપરાંત આ કોલેજોમાં પ્રચુર જ્ઞાતિવાદની પણ ફરિયાદો ઉઠી છે. એવા સમયે કંપની કર્મચારીઓમાં વૈવિધ્ય જાળવે એ ખૂબ અગત્યનું છે.
આવા સ્નાતકો વધુ સારા કર્મચારીઓ હોય છે તેનું એક મુખ્ય કારણ એ છે કે તેમણે પોતે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ, સંકટોનો સામનો કર્યો છે આથી તેઓ વધુ સારી રીતે ઘડાઈ ચુક્યા છે.
કંપનીઓએ ઉમેદવારોના resume ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ
હાલ ટેક્નોલોજી જે ઝડપે બદલાય છે તે રીતે કોલેજમાં દાખલ થયેલો વિદ્યાર્થી ભણતર પૂર્ણ કરે ત્યાં સુધી ટેક્નોલોજી બદલાઈ જાય છે. કંપનીઓએ તેમના કર્મચારીઓને નવી ટેક્નોલોજી માટે કેટલું કુતુહલ છે અને નવું શીખવાની કેટલી તમન્ના છે તે બાબત ઉપર ધ્યાન એવું જોઈએ. નોકરીના ઉમેદવારે કેટલા ઓનલાઇન કોર્સ કર્યા છે અથવા કેટલી ઇન્ટર્નશીપ કરી છે તે આ માપવાનો એક સારો માપદંડ છે.
હવે કોઈ એન્જીનીયર એમ ન કહી શકે કે તે IITના સ્નાતક જેટલું સારું પ્રોગ્રામિંગ નથી કરી શકતો કારણ કે હવે તે IITના પ્રોફેસરોના ઓનલાઈન કોર્સ કરી શકે છે. કેટલાય નાની કોલેજોના વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા વિષયો ઉપર ઘણા પુસ્તકો વાંચ્યા હોય છે.
એવા લોકો શોધો જે નિષ્ફળ રહ્યા છે
જેક મા એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક બોકસરે જીતવા માટે પહેલા માર ખાતા શીખવું જ પડે. આ જ પ્રમાણે તમારે નિષ્ફળતાને પચાવતા શીખવું જ પડે. ટોચની કોલેજના વિદ્યાર્થીઓ કમનસીબે કદી નિષ્ફળ થયા નથી તેઓ હંમેશા હોશિયાર અને સફળ રહ્યા હોય છે.
મેન્ટર બનો
જે લોકો નાની કોલેજમાંથી ભણીને સફળ બન્યા છે તેઓ બીજા વિદ્યાર્થીઓને શીખવે તે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને ટોચની કોલેજના સ્નાતકોની જેમ જ્ઞાન મળે કે કોર્પોરેટમાં નોકરી માટે શું લાયકાતો અને જરૂરિયાતો હોય છે તો તેઓ પણ સારી નોકરી મેળવી શકે.
અંતમાં એટલું ચોક્કસ કહી શકાય કે નાની કોલેજના સ્નાતકોને નોકરી પર રાખવા એક જોખમ ચોક્કસ છે પરંતુ લાંબા ગાળે કંપની માટે તે ખૂબ ફાયદાકારક છે. આ કર્મચારીઓ હંમેશા યાદ રાખશે કે જયારે કોઈએ તેમને પસંદ ન કર્યા ત્યારે જે તે કંપનીએ તેમની પર પસંદગીનો કળશ ઢોળ્યો અને આ જ કર્મચારીઓ કંપનીને આગળ લઇ જશે.