સરકારી સૂત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ડેમચૌક નજીક ગોગરા હાઇટ્સ, ડેપ્સાંગના મેદાનો અને સીએનસી જંકશન અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકે છે.
ભારત અને ચીનની સેનાઓ કરી શકે છે વાતચીત
સરકારી સૂત્રોએ આપી મોટી માહિતી
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદાખ વિવાદનો આવ્યો હતો અંત
લદ્દાખના પેંગોંગ તળાવ વિસ્તારમાંથી સામસામેની પીછેહઠ પછી, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આ અઠવાડિયામાં ફરીથી ચર્ચા થઈ શકે છે. સૂત્રોના હવાલેથી માહિતી મળી છે કે આ બેઠકમાં ગોગરા હાઇટ્સ અને દેપસાંગના મેદાનોથી સૈન્યની પાછા ખેંચવાની વાત થઈ શકે છે. ગયા અઠવાડિયે રાજદ્વારી સ્તરે વાતચીત બાદ, આ સપ્તાહે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર કક્ષાની વાતચીત થવાની સંભાવના છે.
રાજદ્વારી કક્ષાની વાતચીત થઈ છે
સરકારી સૂત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ડેમચૌક નજીક ગોગરા હાઇટ્સ, ડેપ્સાંગના મેદાનો અને સીએનસી જંકશન અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકે છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં બંને દેશોના લશ્કરો વચ્ચે વાતચીત થશે, કારણ કે તાજેતરમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી કક્ષાની વાતચીત થઈ છે, જેમાં આ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વનું છે કે પૂર્વી લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ભારત અને ચીન વચ્ચે ઘણા મોરચે તણાવની પરિસ્થિતિ છે. બંને દેશોની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી જેમાં ભારતના પક્ષે 20 જવાનોએ શહીદી વહોરી હતી અને ચીનના 35 થી વધુ સૈનિકો માર્યા ગયાની માહિતી બહાર આવી હતી, પણ ચીને આ વાત સ્વીકારી નહોતી. જો કે, ગયા મહિને લાંબા સૈન્ય અને રાજકીય વાટાઘાટો પછી, બંને દેશોની સૈન્ય પેંગોગ તળાવ વિસ્તારમાંથી પીછેહઠ કરવા સંમત થઈ હતી.
અત્યાર સુધીમાં 10 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ બંને દેશોની સૈન્યની સફળ પાછી ખેંચી લેવા માટે તમામ પક્ષોને શ્રેય આપ્યો હતો અને કહ્યું હતું કે સંકટ સમયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પાસેથી મળેલી મહત્વપૂર્ણ માહિતીએ દેશને ઘણો ફાયદો કર્યો હતો. નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર કક્ષાએ 10 રાઉન્ડની વાતચીત થઈ હતી અને તે પછી બંને સેનાઓ વચ્ચે પેંગોગ તળાવ વિસ્તારમાંથી સૈનિકો પાછા ખેંચવાની સહમતિ સધાઈ હતી.