રશિયા (Russia) એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સૂચિત કર્યા છે કે, પૂર્વી યુક્રેનના ખારકિવ અને સુમી શહેરોમાં તેમની સૈન્ય કાર્યવાહીના કારણે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને બચાવવા માટે તેમની બસો સરહદ પર ઊભી કરી દેવાઇ છે.
ખારકીવથી 298 ભારતીય વિદ્યાર્થીઓને લવાશે પરત
વિદ્યાર્થીઓને પરત લાવવા બોર્ડર પર ઊભી કરાઇ બસોની સુવિધા
130 બસો બોર્ડર પોસ્ટ પર લોકો માટે હાજર
યુક્રેનના જેપોરિજજિયા સ્થિત યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલા બાદ અલ્બાનિયા, ફ્રાન્સ, આયર્લેન્ડ, નોર્વે, બ્રિટન અને અમેરિકાની માંગ પર શુક્રવારે સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન રશિયાના સ્થાયી પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત વૈસલી નેબેન્ઝિયાએ જણાવ્યું કે, રશિયન સૈનિકો યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને શાંતિપૂર્ણ રીતે બહાર કાઢવાની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું જ કરી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, યુક્રેની રાષ્ટ્રવાદીઓએ પૂર્વી યુક્રેનના ખારકિવ અને સુમી શહેરોમાં 3700 ભારતીય વિદ્યાર્થીઓને "બળજબરીથી" રાખ્યા હતાં.
વિદેશીઓ પર પણ પડી રહી છે આની અસર
નેબેનઝિયાએ કહ્યું કે, 'આતંકવાદીઓ સામાન્ય લોકોને શહેર નથી છોડવા દઇ રહ્યાં. તેની અસર માત્ર યુક્રેનના લોકો પર જ નહીં પરંતુ વિદેશીઓ પર પણ પડી રહી છે. અનેક વિદેશીઓને યુક્રેની નાગરિકો દ્વારા બળજબરીથી રાખવા એ સૌ કોઇને સ્તબ્ધ કરી મૂકે તેમ છે. ખારકિવમાં 3189 ભારતીયો, 2700 વિયેતનામી અને 202 ચીની નાગરિકો હાજર છે. એ જ રીતે સુમીમાં 507 ભારતીયો, 101 ઘાનાના નાગરિકો અને 121 ચીની નાગરિકો છે.
130 બસો બોર્ડર પોસ્ટ પર લોકો માટે હાજર
તેઓએ જણાવ્યું કે, "રશિયાના બેલગોરોદ વિસ્તારમાં 130 આરામદાયક બસો આજ સવારના 6 વાગ્યાથી જ 'નેખોતીવકા' અને 'સુદઝા' બોર્ડર પોસ્ટ પર ખારકિવ અને સુમી જવા તેમજ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને નીકાળવા માટે ઊભી છે.' રશિયન રાજદૂતે જણાવ્યું કે, 'તપાસ ચોક પર અસ્થાયી નિવાસ, આરામ કરવાની સુવિધા અને ગરમ ખાવાની વ્યવસ્થા કરવામાં આવી. આ સાથે જ દવાઓ સાથે સચલ ચિકિત્સા કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.
નીકાળવામાં આવેલા તમામ લોકોને બેલગોરોદ લઇ જવાશે
તેઓએ જણાવ્યું કે, 'નીકાળવામાં આવેલા તમામ લોકોને બેલગોરોદ લઇ જવામાં આવશે અને ત્યાંથી તેઓને તેમના દેશમાં મોકલી દેવામાં આવશે.' ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાં બંધક બનાવવાના સમાચાર પર નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતના કોઇ પણ વિદ્યાર્થીને બંધક બનાવ્યાના સમાચાર નથી મળ્યાં.