પૂર્વોત્તરમાં ભારત અને મ્યાનમારે ઉગ્રવાદીઓના સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બંને દેશની સેનાએ પોત પોતાના સીમામાં ઉગ્રવાદીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા છે. તો કાર્યવાહી દરમિયાન ભાગી રહેલા ઉગ્રવાદીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ છેડેલા ઓપરેશનને ઓપરેશન સનશાઈન 2 નામ આપ્યું છે.
જેમાં ઈન્ડિયન આર્મીની બે બટાલિયન સિવાય ખાસ સુરક્ષાબળ, અસમ રાઈફલ્સના જવાનો સામેલ છે. તો મ્યાનમારની સેનાની ચાર બ્રિગેડ પણ ઉગ્રવાદીઓ વિરૂદ્ધના ઓપરેશનમાં સામેલ રહી. આ પહેલા આ જ વર્ષે 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન ચલાવેલા ઓપરેશનને ઓપરેશન સનશાઈન 1 એવું નામ આપ્યુ હતુ. જેમાં ભારતીય સેનાએ સીમાની અંદર શંકાસ્પદ ઉગ્રવાદીઓના કેમ્પ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
ઓપરેશન સનશાઈન ટુ હેઠળ ભારતીય સેનાએ અંદાજે 70થી 80 ઉગ્રવાદીઓને પકડી પાડ્યા છે. હાલ તો આ તમામ ઉગ્રવાદીઓને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. આ ઓપરેશન હેઠલ એન.એસ.સી.એન.કે.ના સાતથી આઠ કેમ્પો સિવાય ઉલ્ફા કે.એલ.ઓ., એન.ઈ.એફ.ટીના પણ કેટલાક અડ્ડાઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે.
એક સરકારી અધિકારીએ આ જોઇન્ટ ઓપરેશનને સફળ ગણાવ્યું છે. ઓફિસરે 'ધ સન્ડે' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મિશન બંને દેશોની સેનાઓ વચ્ચે તાલમેલ મિલાવી પાર પાડવામાં આવ્યું છે. એમણે કહ્યું કે 'ઓપરેશન સનસાઇન-1' દરમિયાન બંને દેશોની સેનાઓ વચ્ચે વિશ્વાસને કારણે આ મિશન સફળ રહ્યું છે. અધિકારી અનુસાર, 2015માં ભારતીય સેના દ્વારા આંતકી સંગઠન NSCN-K વિરુદ્ધ સીમા પાર ચાલી રહેલા અભિયાનને લઇને મ્યાનમારમાં નારાજગી હતી.