બોર્ડરની પેલે પાર હજુ પણ 6 મોટા અને 29 નાના આતંકવાદી કેમ્પ
જમ્મુ-કાશ્મીરમાં સેનાની કડકાઈથી આતંકીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે. ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે જણાવ્યું કે, ઘાટીમાં આતંકવાદીઓની ઘૂસણખોરીમાં ભારે ઘટાડો થયો છે. જો કે, તેઓએ એમ પણ કહ્યું કે, હાલમાં લગભગ 200 આતંકવાદીઓ પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસવાની તૈયારીમાં છે.
Nearly 200 terrorists waiting across LoC to infiltrate in J-K: Lt Gen Upendra Dwivedi
જમ્મુ-કાશ્મીરમાં પ્રશિક્ષિત આતંકવાદીઓની સંખ્યા ઘટી રહી છે
એક ખાનગી સમાચાર એજન્સીના જણાવ્યાં અનુસાર, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રશિક્ષિત આતંકવાદીઓની સંખ્યા ઘટી રહી છે કારણ કે તેઓને સ્થાનિક સમર્થન નથી મળી રહ્યું અને તેઓની ગેરહાજરીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 21 વિદેશી આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે.
નિયંત્રણ રેખા પર સુરક્ષાની સ્થિતિ સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું, 'લગભગ 200 આતંકવાદીઓ ભારત-પાક બોર્ડર પર બેઠા છે અને ખીણમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, અમે એ સુનિશ્ચિત કર્યું છે કે તમામ અનામત સૈનિકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી ઘૂસણખોરીની કોઈ ઘટના ન બને.'
તેઓએ કહ્યું કે, પાકિસ્તાન સતત આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. બોર્ડરની પેલે પાર હજુ પણ 6 મોટા અને 29 નાના આતંકવાદી કેમ્પ છે. પાકિસ્તાની સેના અને એજન્સીઓ આ આતંકીઓને ઘૂસણખોરીમાં સતત મદદ કરી રહી છે.
'ખીણમાં આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો'
તેઓએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાન સાથે ફેબ્રુઆરી 2021માં થયેલા યુદ્ધવિરામ કરારનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં માત્ર બેથી ત્રણ વખત યુદ્ધવિરામ ભંગ થયો છે. ભારતીય સૈન્ય અધિકારીના જણાવ્યાં અનુસાર, કાશ્મીરમાં 40થી 50 વિદેશી આતંકવાદીઓ હાલમાં સક્રિય છે, પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 21 આતંકવાદીઓ માર્યા ગયા છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને કટ્ટરપંથી વિચારધારા સાથે જોડવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, આ માટે ખૂબ મોટી સંખ્યામાં કિશોરોની ભરતી કરવામાં આવી રહી છે. આ યુવાનોની ભાવનાઓને ભડકાવીને પાકિસ્તાન તેમનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યું છે.