જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન્સમાં ભારતીય જવાનોએ 4 આતંકીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે મૂઠભેડ
લશ્કરે તોયબાના ચાર આતંકીઓ ઠાર
સેનાનો એક જવાન ઘાયલ
મુનિહાલ વિસ્તારની ઘટના
જમ્મુ કશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓનો સફાયો કરવાનું ચાલુ છે. તાજેતરમાં મુનિહાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી મૂઠભેડમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આઈજીપી વિજય કુમારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચારે આતંકવાદીઓને ઠાર કરાયા છે અને ઓપરેશન હવે પૂરું થઈ ચૂક્યું છે. આ મિશનમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો.
2020 માં કુલ 226 આતંકીઓનો ખાત્મો બોલાવાયો
તાજેતરમાં જ સીઆરપીએફ દ્વારા જાહેર કરવામાં આવેલા એક આંકડા મુજબ 2020 ના વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન્સ દરમિયાન 226 આતંકવાદીઓ મારવામાં આવ્યા હતા. આ ઉપરાંત 296 જેટલા આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા.
પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો
સીઆરપીએફના ડીજી કુલદીપસિંહે કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓમાં હવે ઘટાડો થયો છે. જો કે પથ્થરમારાની ઘટનાઓ સાવ બંધ નથી થઈ પરંતુ 90 ટકા જેટલી ઓછી થઈ હતી.
આ સાથે કુલદીપ સિંહે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં રાજ્ય પોલીસ અને ભારતીય સેનાનાં સમન્વયથી કામ કરી રહેલી સીઆરપીએફને ઘણા ઓપરેશન્સમાં સફળતા મળી છે. ગયા વર્ષે 226 જેટલાં આતંકવાદીઓને ઠાર મરાયા હતા તો આ વર્ષે 11 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જૈશ-એ-મહોમ્મદનાં ચાર આતંકીઓ મરાયા
ડીજીએ કહ્યું હતું કે,'તાજેતરમાં જ ચાર આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા. જેમાં જૈષનો કમાન્ડર સજ્જાદ અફઘાની પણ શામેલ હતો. આ સમયગાળામાં પકડાયેલા 296 આતંકવાદીઓમાં આઠે આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે 378 હથિયાર અને 41 ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.