ભારતીય સૈન્યએ ફરી એકવાર આતંકવાદને ઉછેરનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ગુરુવારે, ભારતીય સેનાએ POKમાં LOCને અડીને 10 પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા.
ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાની સેનામાં થયું ભારે નુકશાન: સૂત્રો
પાકિસ્તાની ગોળીબારમાં સેનાનો જવાન થયો હતો શહિદ: હવે મળ્યો જવાબ
આ ઉપરાંત રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાની ગોળીબારમાં એક પોલીસ ઘાયલ થયો હતો. આ પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાની આર્મીની 10 ચોકીઓનો નાશ કર્યો હતો. ભારતીય સેનાએ સમ્હાની સેક્ટરમાં કહવલીયન નાળામાં પાકિસ્તાની સેનાઓની ચોકીઓને નિશાન બનાવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈન્યની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ગયા વર્ષે શરૂઆતમાં, ભારતીય સેનાએ સરહદ પાર સ્થિત આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો હતો
અગાઉ, પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો હતો અને આતંકવાદીઓના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ભારતની આ કાર્યવાહીથી ધૂંધવાયેલા પાકિસ્તાને વળતો હુમલો કર્યો હતો જેનો પણ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેનને ઉડાવી દીધું હતું. આ સમય દરમિયાન ભારતીય વાયુસેનાનું વિમાન મિગ -21 ક્રેશ થયું હતું અને ભારતીય પાઇલટ અભિનંદન પાકિસ્તાને કબજે કરેલા POK વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં તેને પાકિસ્તાની સેનાએ પકડી લીધો હતો. જો કે બાદમાં પાકિસ્તાને નમવું પડ્યું હતું અને અભિનંદનને મુક્ત કરવો પડ્યો હતો.