દરેક ખેલાડીઓનું સપનું હોય છે કે જયારે તેઓ રમતમાંથી સંન્યાસ લે ત્યારે તેનું સન્માન થાય અને ફેરવેલ પાર્ટી કરવામાં આવે પરંતુ આ 5 ખેલાડીઓને કોઈ સન્માન મળ્યું નહતું
આ ભારતીય ખેલાડીઓને સંન્યાસ સમયે ન મળ્યું સન્માન
કેપ્ટન કુલ ધોનીએ 2020માં સંન્યાસ લીધો હતો
ગંભીર, સહેવાગ, દ્રવિડ અને ઝહીરને પણ સંન્યાસનું સન્માન નહોતું મળ્યું
દરેક ખેલાડીઓનું સપનું હોય છે કે જયારે તેઓ રમતમાંથી સંન્યાસ લે ત્યારે તેનું સન્માન થાય અને ફેરવેલ પાર્ટી કરવામાં આવે પરંતુ ભારતના ઘણા ક્રિકેટરો એવા છે જેનું ઘણું મોટું નામ પણ છે અને તેની ભારતીય ટીમ માટે સિધ્ધિઓ છે પરંતુ તેમની વિદાય સમયે કોઈ પણ સન્માન સમારોહ રાખવામાં આવ્યો નહોતો. આવો એક નજર કરીએ ભારતના કયા 5 એવા દિગ્ગજો છે, જેમને સંન્યાસ લીધા બાદ પૂરા સન્માન સાથે મેદાનમાંથી વિદાય ન મળી.
મહેન્દ્ર સિંહ ધોની
આપણા કપ્તાન કુલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે આઇસીસી વર્લ્ડ ટી-20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી છે. આ ઉપરાંત ભારત 2009માં પહેલી વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતુ. ડિસેમ્બર 2014માં ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. આ પછી ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ વન ડે અને ટી-20 ઈન્ટરનેશનલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. ભારતને આટલી સફળતા અપાવ્યા બાદ ધોની ફેરવેલ મેચના સન્માનનો હકદાર હતો, પરંતુ તેના માટે આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી.
વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સેહવાગે ભારત માટે 104 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 49.34ની સરેરાશથી 8586 રન ફટકાર્યા હતા, જેમાં 23 સદી અને 32 અડધી સદી સામેલ છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 319 રન છે. વીરુએ 251 વન ડેમાં 8273 રન ફટકાર્યા હતા, જેમાં 15 સદી અને 38 અડધી સદી સામેલ છે. આ ફોર્મેટમાં વીરુનો બેસ્ટ સ્કોર 219 છે. આ સિવાય વીરુએ 19 ટી20 મેચમાં 394 રન બનાવ્યા હતા, જેમાં 68 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો. વિરેન્દ્ર સેહવાગે વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પણ તેને ફેરવેલ મેચનું સન્માન મળ્યું નહતુ.
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પણ તેને ફેરવેલ મેચનું સન્માન મળ્યું નહતુ. ગૌતમ ગંભીર 2007ના ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અને 2011ના વન-ડે વર્લ્ડ કપની આખરી મેચમાં શ્રીલંકા સામેનો હીરો હતો. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 58 ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 41.95ની એવરેજથી 4154 રન ફટકાર્યા હતા, જેમાં નવ સદી સામેલ હતી. ગંભીરે 147 વન ડેમાં 39.68ની સરેરાશથી 5238 રન ફટકાર્યા હતા. જેમાં 2011ની વર્લ્ડ કપની ફાઈનલ 97 રનની યાદગાર ઈનિંગ છે, જેના સહારે ભારતે બીજી વખત વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો. વન ડેમાં તેણે 11 શતકીય ઈનિંગ રમી હતી. ગંભીરે ટી-20 ઈન્ટરનેશનલમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. તેણે 37 મેચમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા હતા, જેની એવરેજ 27.41ની હતી.
રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડે વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર બે જ એવા બેટ્સમેન છે, જેમણે ટેસ્ટ અને વન ડે બંનેમાં 10,000થી વધુ રન ફટકાર્યા છે. સચિન તેંડુલકર ઉપરાંત દ્રવિડે ટેસ્ટમાં 13,288 રન ફટકાર્યા છે, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. દ્રવિડે વન-ડેમાં 10,889 રન ફટકાર્યા છે. જેમાં તેની 12 સદીનો પણ સમાવેશ થાય છે. ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ દ્રવિડના નામે છે. તેણે 301 ઇનિંગ્સમાં 210 કેચ ઝડપ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા દ્રવિડે કોચિંગના મેદાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ, પણ તેને ફેરવેલ મેચનું સન્માન મળ્યું નહતુ.
ઝહીર ખાન
ટીમ ઈન્ડિયાના લેજન્ડરી ફાસ્ટ બોલર ઝહીર ખાને વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પણ તેને ફેરવેલ મેચનું સન્માન મળ્યું નહતુ. ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાને લાંબા સમય સુધી ભારતીય પેસ આક્રમણની કમાન સંભાળી હતી. ઝહીર લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત રહ્યો હતો. આ કારણે તેને ટીમ ઇન્ડિયામાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. ઝહીર છેલ્લે ફેબુ્રઆરી 2014માં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ રમ્યો હતો, જ્યારે આખરી વન ડે ઓગસ્ટ 2012માં પલ્લીકલમાં શ્રીલંકા સામે રમ્યો. જે બાદ તે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યો નહતો. ઝહીર ખાને ભારત તરફથી કુલ 92 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી હતી, જ્યારે ઝહીરે 200 વન ડેમાં કુલ 282 વિકેટ ઝડપી હતી. આ સિવાય 17 ટી20 મેચમાં તેની 17 વિકેટ છે. ઝહિરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600થી વધુ વિકેટ લીધી છે.