ભારત અને ઓસ્ટ્રેલિયાની કેનબેરા ખાતે યોજાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમનો વિજય થયો છે. 164 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 150 રન જ નોંધાવી શકી હતી.
ODI શ્રેણીમાં 2-1ની હાર બાદ ભારત અત્યારે ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી રમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના મહેમાન તરીકે આવેલી ભારતની ટીમ ટોસ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગની પસંદગી કરી હતી.
ભારત તરફથી ઓપનર K L રાહુલે 55 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં જાડેજાએ 23 બોલમાં 44 રન ફટકાર્યા હતા જેથી ભારત સન્માનજનક એવા 161 રને પહોંચ્યું હતું.
ચહલ અને નટરાજનની 3-3 વિકેટ
161ના ટાર્ગેટનો પીછો કરી રહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ અને ઓપનર ડાર્સી શોર્ટે અનુક્રમે 35 અને 34 રનથી સંગીન શરૂઆત કરી હતી. જો કે ત્યારબાદ કાંગારું બેટ્સમેનોની નિયમિત અંતરે વિકેટો પડી રહી હતી. યુઝ્વેન્દ્ર ચહલે 3 વિકેટ લઇને તરખાટ મચ્યો હતો. આ ઉપરાંત નવા બોલર નટરાજને પણ 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની નિયમિત અંતરે વિકેટ પડી રહી હતી જેથી આખરે તેઓ 20 ઓવરના અંતે 150 રન જ કરી શક્યા હતા.
જાડેજાને થઈ ઈજા અને ચહલે બદલી બાજી
ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝના આ પહેલી મેચમાં રવીન્દ્ર જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવવાથી બાજી પલટાઈ ગઈ હતી તેમ કહી શકાય. જાડેજાને ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કે નાખેલો બીજો બોલ માથે વાગ્યો હતો. ચહલ જે પ્લેઈંગ-11નો ભાગ નહોતો, તેણે 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી મેચ ભારતની ઝોળીમાં મૂકી દીધી. ચહલે આરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડને આઉટ કરીને ભારતના નામે આ મેચ કરી દીધી હતી.
શું છે કન્કશન સબ્સ્ટિટયૂટ?
ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર એશિઝમાં સબ્સ્ટિટયૂટ ખેલાડીઓ સંબંધિત એક નવો નિયમ ઓગસ્ટ 2019માં લાગુ પડ્યો હતો. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. માથામાં વાગ્યું હોય તે ઇજાને કન્કશન કહે છે. જો કોઈને માથામાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.
આ નિયમમાં નોંધ લેવા જેવી વાત એ છે કે જો કોઈ બોલર ઇજાગ્રસ્ત થયો હોય તો બોલર જ રિપ્લેસ કરી શકે છે. ક્રિકેટની ભાષામાં તેને 'Like to Like' રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.