ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનાં ચોથા દિવસે ભારતે મેચ પોતાના નામે કરી લીધી હતી. ચોથા દિવસની શરુઆતમાં ભારત જીતથી 7 વિકેટ દૂર હતી. જે વિકેટ્સ ભારતે પહેલા સેશનમાં જ ખેરવી દીધી હતી.
4 ટેસ્ટની સિરીઝમાં ભારતે 1-1થી બરાબરી કરી
ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ
ચોથા દિવસનાં પહેલા સેશનમાંજ ભારતે જીત મેળવી લીધી
ભારતે 482 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો
ભારતે બીજી ટેસ્ટ મેચમાં શરુઆતથી જ મજબૂતી હાંસલ કરી રાખી હતી. પહેલી ઈનિંગમાં 329નો સ્કોર કર્યાં બાદ ઈંગ્લેન્ડ તેનાં જવાબમાં ફક્ત 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ભારતે બીજી ઈનિંગમાં 286 રન ખડકીને કુલ 482 રનની જંગી લીડ મેળવી લીધી હતી. જેનાં જવાબમાં ઈંગ્લેન્ડનો ટીમ ચોથા દિવસની શરુઆતમાં પણ નબળો દેખાવ જારી રહ્યો હતો અને 164 રનમાં આખી અંગ્રેજ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત બાદ ભારતે ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 1-1થી બરાબરી કરી લીધી છે.
That winning feeling! 👌👌
Smiles all round as #TeamIndia beat England in the second @Paytm#INDvENG Test at Chepauk to level the series 1-1. 👏👏
ઈંગ્લેન્ડ પર 317 રનથી ભવ્ય જીત ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી સૌથી મોટી જીત (રનના હિસાબથી) છે. ભારતીય ટીમે પોતાની સૌથી મોટી જીત સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2015માં દિલ્હીના કોટલામાં હાંસલ કરી હતી. ત્યારે વિરાટ કોહલીની જ કેપ્ટનશીપમાં આફ્રિકાની ટીમને 337 રનથી મ્હાત આપી હતી.
89 વર્ષમાં મોટો રેકોર્ડ સર્જ્યો
ભારતની ઈંગ્લેન્ડની વિરુદ્ધ આ બીજી મોટી જીત છે. આ પહેલાં 1986માં લોર્ડ્સમાં કપિલ દેવની કૅપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને 279 રનોથી હરાવ્યું હતું. હવે આ રેકોર્ડ કોહલીના નામે જોડાઈ ગયો છે જેની કેપ્ટનશીપમાં ભારતે ન માત્ર ઈંગ્લેન્ડને રેકોર્ડ રનોથી હરાવ્યું છે પરંતુ 89 વર્ષના (1932-2021) ટેસ્ટ ઈતિહાસમાં પાંચમી સૌથી મોટી જીત હાંસલ કરી છે.
482 રનનો પીછો કરવામાં હાંફી ગયુ ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ 482 રનનો પીછો કરી રહ્યું છે પણ તેનાં માટે આ સ્કોર ચેઝ કરવો અસંભવ થઈ પડ્યો હતો. બીજી ટેસ્ટનો ચોથો દિવસ પણ ભારતનાં નામે રહ્યો ભારતે ચોથા દિવસની શરુઆતની 25મી ઓવરનાં પહેલા બોલ પર ડેન લોરેન્સની વિકેટ ખેરવી નાંખી હતી ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમની વિકેટ સમયાંતરે પડતી ગઈ અને ભારત જીત તરફ પ્રયાણ કરતું ગયુ.
અશ્વિનની ફિરકીનો જાદુ ફરી ચાલ્યો
ચોથા દિવસની શરુઆતમાં પહેલી વિકેટ બીજી ટેસ્ટનાં હિરો અશ્વિને લીધી હતી. અશ્વિને પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ ખેરવી અને બીજી ઈનિંગમાં બેટીંગમાં સદી ફટકારીને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પણ અશ્વિનની ફિરકીનો જાદુ ચાલતો રહ્યો અશ્વિને બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની 3 વિકેટ ખેરવી નાંખી.
અક્ષર પટેલે લીધી પાંચ વિકેટ
બીજી તરફ ભારતે નદીમની જગ્યાએ લીધેલા અક્ષર પટેલનો દાવ પણ ફળ્યો અક્ષર પટેલે પહેલી અને બીજી બંને ઈનિંગમાં બોલિંગનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. અક્ષર પટેલે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની 2 વિકેટો ખેરવી જ્યારે બીજી ઈનિંગમાં તેણે 5 વિકેટો લઈને ઈંગ્લેન્ડને હાર ભણી કરી દીધી હતી. લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં જગ્યા મેળવનાર કુલદીપ યાદવને ભલે ઓવર ઓછી આપવામાં આવી તેમ છતાં તેણે પણ ઓછા રન ખર્ચીને ઈંગ્લેન્ડનાં સ્કોરને અટકાવવામાં મદદ કરી હતી.