ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતીય ટીમ લગભગ બહાર થઈ ગઈ છે ત્યારે હવે વર્લ્ડકપ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીમાં કોણ રમશે અને કોણ કેપ્ટન્સી કરશે એ બાબત પર સસ્પેન્સ યથાવત છે.
ભારતીય ક્રિકેટ ટીમે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં રીતસર દાટ વાળ્યો હતો. પાકિસ્તાન સામે 10 વિકેટે શરમજનક પરાજય બાદ ફરી ન્યુઝીલેન્ડ સામે પણ આઠ વિકેટે પરાજય થયો હતો. બંને મેચોમાં ભારતની વર્લ્ડકલાસ બેટિંગ લાઇન અપ બહું ખરાબ રીતે ધરાશાયી થઈ ગઈ હતી.
હવે ટી-20 વર્લ્ડકપ બાદ ભારત માટે નવો કેપ્ટન શોધવાની કપરી જવાબદારી સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટનાં માથે આવી પડી છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામે જ ભારત સૌથી પહેલી સીરિઝ રમવાનું છે એ પણ નિશ્ચિત થઈ ગયું છે.
ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી લોકેશ રાહુલ કેપ્ટન બને તેવી સંભાવના વધતી જાય છે.
સિનિયર ખેલાડીઓને આરામ
આ સિરીઝમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી પણ શક્યતા છે કારણ કે મોટાં ભાગના ખેલાડીઓ આઈપીએલ અને ત્યાર બાદ વર્લ્ડ કપ એમ સતત મેચો રમી રહ્યા છે ત્યારે તેઓને આરામ આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.
રાહુલ બનશે કેપ્ટન
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવે તે હવે લગભગ કન્ફર્મ છે કારણ કે બીસીસીઆઈનાં એક અધિકારીએ એક સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે વર્લ્ડકપ બાદ સિનિયર ખેલાડીઓને આરામ આપવાની જરૂર પડશે જે સ્વાભાવિક છે. માટે હવે કોઈ મોટું સસ્પેન્સ નથી કે ટીમના સૌથી મહત્વના ઉપરાંત અનુભવી ખેલાડી તરીકે કે. એલ. રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવશે.
ટી-20 સિરિઝનું શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરિઝ આ મહિને રમાશે.
પ્રથમ મેચ 17 નવેમ્બરે અને જ્યારે બીજી મેચ 19 નવેમ્બરે રાંચીમાં રમાશે. ત્યારે 21 નવેમ્બરે ત્રીજી અને આખરી મેચ કોલકાતામાં રમાશે. ટી-20 વર્લ્ડકપ્ બાદ આ સીરિઝ અને ત્યાર બાદ બે મેચની ટેસ્ટ સીરિઝ પણ રમાશે.