ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હવે ભારત સરકાર વેક્સિનેશનમાં તેજી લાવશે.
વેક્સિનેશન અભિયાનમાં તેજી લાવશે ભારત સરકાર
વિદેશોમાં નિકાસ થોડા દિવસ ઓછી કરાશે
દેશના લોકોને આપવાં આવશે પ્રાથમિકતા
કોરોના વાયરસની ભારતમાં ફરીથી દહેશત વધી ગઈ છે. ભારતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકારે હવે વિદેશોમાં વેક્સિન મોકલવા પર લગામ લગાવી દેવાનો નિર્ણય કર્યો છે. હવે પહેલા દેશના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે અને વિદેશોને પછી વેક્સિન આપવામાં આવશે.
વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે નિર્ણય
મીડિયા અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર હવે કોરોના વાયરસ વેક્સિનની નિકાસ નહીં કરે જેથી દેશમાં જ સારી રીતે રસીકરણ કરી શકાય. સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હવેથી ઘરેલુ જરૂરીયાતો પર ધ્યાન આપવાં આવશે અને તે બાદ ભવિષ્યમાં નિકાસ મુદ્દે ફરીથી નિર્ણય લેવામાં આવશે. ભારતમાં વધતાં કોરોના કેસ વચ્ચે હવે ભારત સરકાર વેક્સિનેશનની પ્રક્રિયાને તેજ બનાવશે અને સરકારને સૌથી મોટી પ્રાથમિકતા હવેથી વધુમાં વધુ લોકોને વેક્સિન આપવાની છે.
1લી એપ્રિલથી 45થી ઉપરના દરેકને મળશે વેક્સિન
ભારતમાં પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના દરેક લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવાં આવશે. નિર્ણય બાદ હવેથી કોરોના વેક્સિન માટે રજીસ્ટર કરાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઑ અદાર પૂનાવાલાએ પણ થોડા દિવસ પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોટી જરૂરીયાતો પર પહેલા ફોકસ કરી રહ્યું છે ને સાથે સાથે દુનિયાનું પણ ધ્યાન રાખવામાં આવશે અને દરેક સંભવ મદદ કરવામાં આવશે.
ભારતે શરૂ કરી હતી 'વેક્સિનમૈત્રી'
નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા વિશ્વભરમાં વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપવા માટે ઘણા બધા દેશોમાં કોરોના વાયરસની રસીની સપ્લાય કરવામાં આવી છે. ભારત સરકારની આ નીતિના વિશ્વભરમાં વખાણ પણ થયા અને યુએનથી લઈને WHO સુધીની સંસ્થાએ ભારત સરકારનો આભાર માન્યો હતો.