બ્રિટેનની કોર્ટે કહ્યું છે કે ભારત અને નિઝામના બે પૌત્રોને આ રકમ આપવામાં આવશે
દેશના વિભાજન બાદ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાને 1948માં લંડનના નેશનલ વેસ્ટમિંસ્ટર બેન્કમાં 10 લાખ પાઉન્ડની રકમ જમા કરાવી હતી. જેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. આ રકમની કિંમત હાલ લગભગ 306 કરોડ રૂપિયા છે.
આ મામલો ભારત-પાકિસ્તાન અને હૈદરાબાદના સાતમા નિઝામના વંશજો વચ્ચે ગત 70 વર્ષોથી ચાલી રહ્યો છે. કોર્ટે પાકિસ્તાનના એ દાવાને ફગાવ્યો, જેમા તેણે કહ્યું હતું કે હથિયારોના બદલે નિઝામે આ ચૂકવણી કરી હતી. કોર્ટે 1948 અને તેની પહેલાના દસ્તાવેજોની લાંબી તપાસ બાદ પાકિસ્તાનનો દાવો ફગાવ્યો હતો.
હૈદરાબાદના સાતમા નિઝામને પાકિસ્તાનથી ખુબ જ લગાવ હતો અને તે પાકિસ્તાનની મદદ કરવા માંગતા હતા પરંતુ એ સમયના નિયમ એવા હતા કે સીધા ભારતથી પાકિસ્તાન પૈસા મોકલી શકાય તેમ નહોતા. તેથી નિઝામે બ્રિટેનમાં પાકિસ્તાનના કમિશનર હબીબ ઇબ્રાહિમ રહીમતુલ્લાના એકાઉન્ટમાં પૈસા મોકલાવ્યા હતા.
ભારત સરકારને કોઇ પ્રકારે તેમના દ્વારા મોકલવામાં આવેલા પૈસાની જાણ થઇ, જેના કારણે પાકિસ્તાનના કમિશનર આ પૈસા નીકાળી શક્યા નથી. આ પૈસા 1948થી જ રહીમતુલ્લાના એકાઉન્ટમાં રાખવામાં આવ્યા છે. બાદમાં નિઝામના વંશજોએ પણ આ પૈસા પર દાવો કર્યો જે બાદ આ મામલામાં ત્રણ પક્ષ પાકિસ્તાન, ભારત અને નિઝામના વંશજ બન્યા. લગભગ 70 વર્ષો સુધી ચાલેલા આ મામલામાં કોર્ટે ભારત સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભારત અને નિઝામના બે પૌત્રોને આ રકમ આપવામાં આવશે.