સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડ 9 નવેમ્બરે એટલે કે આજે ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેમના પિતાના નિર્ણયને પલટી નાખનાર જસ્ટિસ ચંદ્રચુડ વિશે આ ખાસ વાતો તમારે પણ જાણી લેવી જોઈએ.
જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ બનશે દેશનાં 50માં CJI
જસ્ટિસ ચંદ્રચુડ આજે મુખ્ય ન્યાયાધીશ તરીકે લેશે શપથ
જસ્ટિસ ચંદ્રચુડનો CJI તરીકેનો કાર્યકાળ બે વર્ષનો હશે
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ આજે ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના વર્તમાન સિટિંગ જજ રહેલા જસ્ટિસ ચંદ્રચુડને તેમના અનેક નિર્ણયો માટે યાદ કરવામાં આવે છે. તેમના વિદાય સમારોહ પર 8 નવેમ્બરે પૂર્વ સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) યૂયૂ લલિતે તેમના ઘણા ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો. અહીં અમે તેમના (ડી.વાય ચંદ્રચુડ) વિશે ઘણી માહિતીઓ આપી રહ્યા છીએ.
11 નવેમ્બર 1959ના રોજ થયો હતો જન્મ
ડી.વાય ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ ધનંજય યશવંત ચંદ્રચુડ છે. ન્યાયાધીશ ચંદ્રચુડે દિલ્હી યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ કર્યો છે. આ પછી તેમણે પ્રતિષ્ઠિત InLaks સ્કોલરશિપની મદદથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. હાર્વર્ડમાં તેમણે લૉમાં માસ્ટર્સ (LLM) અને ન્યાયિક વિજ્ઞાનમાં ડોક્ટરેટ (SJD) પૂર્ણ કર્યું. તેમણે ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, હાર્વર્ડ લૉ સ્કૂલ, Yale લૉ સ્કૂલ અને University of Witwatersrand, દક્ષિણ આફ્રિકામાં લેક્ચર્સ પણ આપ્યા છે.
50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે લેશે શપથ
29 માર્ચ 2000ના રોજ તેઓને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ (additional judge) તરીકે નિયુક્ત કરાયા હતા. તેમણે 31 ઓક્ટોબર 2013ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતના નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ચંદ્રચુડ આજથી ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. તેઓ ભારતના 16માં અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વાય.વી ચંદ્રચુડ (યશવંત વિષ્ણુ ચંદ્રચુડ)ના પુત્ર છે.
પૂર્વ CJI વાય.વી ચંદ્રચુડનો નિર્ણય બદલ્યો
જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે 1976ના ADM જબલપુર કેસમાં પૂર્વ ચીફ જસ્ટિસ અને તેમના પિતા વાય.વી ચંદ્રચુડના નિર્ણયને પલટી નાખ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના પોતાના નિર્ણયમાં કહ્યું કે ગોપનીયતાનો અધિકાર બંધારણનો અભિન્ન ભાગ છે. તેમણે પૂર્વ CJIના નિર્ણયને 'ગંભીર રીતે ખોટો' ગણાવ્યો, જેને તત્કાલિન ચીફ જસ્ટિસ જેએસ ખેલકર, જસ્ટિસ આરકે અગ્રવાલ અને જસ્ટિસ એસએ નઝીરે પણ સમર્થન આપ્યું હતું.
અહીં આપી ચૂક્યા છે સેવાઓ
બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા તેમણે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત, કોલકાત્તા, અલ્હાબાદ, મધ્યપ્રદેશ અને દિલ્હીની હાઈકોર્ટમાં એક વકીલ તરીકે પ્રેક્ટિસ કરી છે. 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમને સિનિયર વકીલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. 1998થી 2000 સુધી તેમણે ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી. એક વકીલ તરીકે, જસ્ટિસ ચંદ્રચુડના સૌથી મહત્વપૂર્ણ કેસોમાં બંધારણીય અને વહીવટી કાયદો, HIV+ દર્દીઓના અધિકારો, ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અધિકારો અને શ્રમ અને ઔદ્યોગિક કાયદાનો સમાવેશ થાય છે.