ઓસ્ટ્રેલિયન કેપ્ટનનું માનવું છે કે, ઈંગ્લેન્ડ સામેની જીતની અસર ટીમ ઈન્ડિયા પર નહીં થાય કારણ કે ભારતીય ટીમનું સંતુલન ઇંગ્લેન્ડની વિખરાયેલી ટીમ જેવુ નથી.
ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય ટીમને આપી ચેતાવણી
સાઉથેમ્પટનમાં 18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાવા જઇ રહી છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1-0થી હરાવીને ભારતીય ટીમને ચેતવણી આપી દીધી છે કે, ભારતને ફાઇનલમાં ધૂળ ચટાવવા માટે કિવી ખેલાડીઓએ કમર કસી લીધી છે.
નિષ્ણાતો મુજબ કિવિ ટીમ ખિતાબ જીતવા માટે ફેવરિટ
દુનિયાભરના નિષ્ણાતોનું માનવું છે કે, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ ન્યૂઝીલેન્ડ ટીમને વધારે મદદરૂપ રેહશે. ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પેહલા જ થયેલી મેચ પ્રૅક્ટિસ ન્યૂઝીલેન્ડને ખિતાબ અપાવવામાં મહત્વનું યોગદાન પૂરું પાડી શકે છે.
ટીમ ઈન્ડિયાનું સંતુલન ઈંગ્લેન્ડ જેવુ વિખરાયેલું નથી - ટીમ પેન
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન ટીમ પેને ફાઇનલને લઈને પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને એકતરફી રીતે હરાવી દેશે. પેને વધુમાં કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની જીતની અસર ફાઇનલ મૅચમાં નહીં પડે કેમ કે ટીમ ઈન્ડિયાનું સંતુલન ઈંગ્લેન્ડ જેવુ વિખરાયેલું નથી.
વિદેશી ધરતી પર પણ ભારતની ટીમને હરાવવી સરળ નથી
ટીમ પેને ભારતીય ટીમના વખાણ કરતાં કહ્યું કે, આપણે જાણીએ જ છીએ કે વિદેશી ધરતી પર પણ ભારતની ટીમને હરાવવી સરળ નથી. ન્યૂઝીલેન્ડની ઈંગ્લેન્ડ સામેની જીતનો પ્રભાવ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં નહીં પડે કેમ કે, ઇંગ્લેન્ડની ટીમમાં બૅન સ્ટોક્સ, ક્રિસ વૉકસ , મોઈન અલી અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓનો અભાવ હતો.
પેને ન્યૂઝીલેન્ડ અને ભારત બંને સામે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું પરંતુ ભારત સામે 1-2થી હારનો સામનો કરવો પડયો હતો. જે દર્શાવે છે કે, ભારતીય ટીમ વિદેશી ધરતી પર પણ કોઈ પણ ટીમને પછાડવાની ક્ષમતા ધરાવે છે તો એ વાત જોવાની જ રહી કે આવનારી ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયા વિજયી બનશે કે કિવી ખેલાડીઓ બાજી મારી જશે.