રેલમંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં મોટી ઘોષણા કરી હતી, તેમણે કહ્યું હતું કે ભારતીય રેલવે 2030 સુધીમાં દુનિયાની પહેલી એવી રેલ બની જશે જે 100 ટકા રિન્યુએબલ ઉર્જા પર ચાલતી હશે.
રેલવે મંત્રીની મોટી જાહેરાત
રેલવેનું 100 ટકા કરાશે ઇલેકટ્રીફિકેશન
2030 સુધીમાં 100 ટકા રિન્યુએબલ પર ચાલશે રેલવે
મોદી કેબિનેટના રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં રેલ અનુદાનની માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપઇ રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે મોદી સરકારે રેલવેના ઇલેકટ્રીફિકેશનને લઈને જે ઝડપે કામ કર્યું છે તે સારું છે. એની પહેલા દર વર્ષે લગભગ 650 કિમી લાંબી રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થતું હતું, પણ હવે દર વર્ષે લગભગ 5500થી 6000 કિમી લાઈનનું વિદ્યુતીકરણ થાય છે. જો કે કોરોનાના લીધે ગત વર્ષે 4000 કિમી લાઈનનું વિદ્યુતીકરણ થયું હતું.
2023 સુધીમાં 100 ટકા ઇલેક્ટ્રીફિકેશન
રેલવે મંત્રીએ આજે કહ્યું હતું કે 2023 સુધી ભારત તેના સમગ્ર રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રીફિકેશન કરી નાખશે, આટલા મોટા નેટવર્કનું સો ટકા ઇલેક્ટ્રિફિકેશન કરવાવાળું ભારત પહેલો દેશ હશે, ચીન અને અમેરિકા પણ આવું નથી કરી શક્યા.
સ્ટેશનોને સોલાર પાવર સ્ટેશન તરીકે બનાવાયા
રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારે 1000 રેલવે સ્ટેશન અને રેલવેની 400 ઈમારતોની ઉપર સોલાર પેનલ લગાડી છે અને હજુ રેલવેની પાસે ઘણી જમીન છે. જો કે તેમની સુરક્ષા કરવી ઘણું જ મુશ્કેલ છે. તેમના પર અતિક્રમણ થઇ જાય છે અને આના માટે સરકારે એક યોજના બનાવી છે.
2030 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જન રેલવે
રેલમંત્રીએ આજે કહ્યું હતું કે 2023 સુધીમાં જે રેલ નેટવર્ક 100 ટકા ઇલેક્ટ્રિફાઇડ થઇ જશે, તે 2030 સુધીમાં દુનિયાનું પહેલું એવું મોટું નેટવર્ક હશે કે જે 100 ટકા રિન્યુએબલ ઉર્જા પર ચાલશે, મતલબ કે ભારત દુનિયાનું પહેલું શૂન્ય કાર્બન ઉત્સર્જક રેલવે બની જશે.