ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાવાની છે. પહેલી મેચ પર ભારતીય ટીમે કબજો મેળવ્યો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ODI
પહેલી મેચમાં ભારતે 3 રને જીત મેળવી છે
આજે સાંજે આ શ્રેણીનો બીજો મેચ રમાશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની આજે (24 જુલાઈ) બીજી મેચ છે. શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ વન ડેમાં ત્રણ રનથી રોમાંચક વિજય મેળવ્યો. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે યોજાવાની છે અને બીજી મેચ જીતીને શ્રેણી પર કબજો મેળવી શકે છે. આમ પણ ભારતીય ટીમ 2006 બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે એક પણ વન ડે શ્રેણી હારી નથી.
આ ખેલાડીઓ છે ફોર્મમાં
પ્રથમ વન-ડે મેચમાં શિખર ધવન અને શુબમન ગિલે શતકીય ભાગીદારી નોંધાવીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ધવન માત્ર ત્રણ રનના અંતરથી પોતાની સદી ફટકારી શક્યો નહોતો. તે જ સમયે શુભમન ગિલે રનઆઉટ થયા પહેલા 64 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા શ્રેયસે પણ 54 રન બનાવ્યા બાદ ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓ પાસેથી બીજી વન-ડેમાં સારા દેખાવની આશા રાખવામાં આવશે.
મિડલ ઓર્ડર સારી રાખવી પડશે
ટીમ ઈન્ડિયા પ્રથમ વન ડેમાં એક સમયે 350ની આસપાસનો સ્કોર કરતી જોવા મળી રહી હતી. પરંતુ મીડલ ઓર્ડરનો ધબડકો થતાં ભારતીય ટીમ સાત વિકેટે 308 રન જ બનાવી શકી હતી. મીડલ ઓર્ડરમાં સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા જેવા ખેલાડીઓ તકનો લાભ ઉઠાવી શક્યા નહતા. સેમસને 18 બોલમાં 12 રન બનાવ્યા હતા. આ સાથે જ સૂર્યાએ 13 રન અને દીપક હુડ્ડાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. હવે આ ત્રણેય ખેલાડીઓ બીજી વન ડેમાં સારો દેખાવ કરીને આગામી મેચો માટે પોતાની દાવેદારી મજબુત કરવા માગશે.
અર્શદીપ સિંહ ડેબ્યૂ કરશે?
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને શુક્રવારે વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી પરંતુ રવિવારે તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પ્રથમ વન ડેમાં શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ પ્રખ્યાત કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર જેવા બોલરો ખર્ચાળ સાબિત થયા હતા. સાથે જ અક્ષર પટેલની હેમસ્ટ્રિંગ પણ પ્રથમ વન-ડેમાં ઉભરી આવી હતી. આવી સ્થિતિમાં ચોક્કસ યોર્કર નાંખવામાં માહેર અર્શદીપ બીજી વન ડે મેચમાં રમતો જોવા મળી શકે છે.