મુંબઈ: ભારત અને વિન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ખરાબ ફિલ્ડિંગ અને કંગાળ બોલિંગ પ્રદર્શનનું નુકસાન ભોગવી રહેલી ટીમ ઇન્ડિયાને વિન્ડીઝ સામે 'ફાઇનલ' સમાન મેચમાં એક પણ ભૂલ ભારે પડી શકે છે.
મુંબઈમાં આજે ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા તૈયાર
ભારત અને વિન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની અંતિમ મેચ
ટીમ ઇન્ડિયાને મેચમાં એક પણ ભૂલ ભારે પડી શકે છે
ભારતીય ટીમની નજર યુવા ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પર રહેશે. જોવાનું એ રહે છે કે ટીમ મેનેજમેન્ટ સુંદરને મેદાનમાં ઉતારે છે કે પછી કુલદીપ યાદવને. સુંદરે છેલ્લી પાંચ ટી-20 મેચમાં ફક્ત ત્રણ વિકેટ ઝડપી છે. કુલદીપ છેલ્લી ટી-20 મેચ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે ગત ફેબ્રુઆરીમાં રમ્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરીને છેલ્લી સાત ટી-20 ઇનિંગ્સમાં રિષભ પંતે અણનમ 33, 18, 6, 27 અને 4 રન બનાવ્યા છે. પંતે ટી-૨૦માં છેલ્લી અર્ધસદી ગત ઓગસ્ટમાં વિન્ડીઝ સામે ફટકારી હતી.
રોહિત પણ છેલ્લી બે મેચમાં નિષ્ફળ રહ્યો છે. હવે આજે પોતાના હોમગ્રાઉન્ડ પર રોહિત મોટી ઇનિંગ્સ રમે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે. લોકેશ રાહુલ અને કોહલીએ રન બનાવ્યા છે. ટી-20 મેચમાં પોતાની અર્ધસદી ફટકારનારા શિવમ દુબેએ તિરુવનંતપુરમાં તોફાની બેટિંગ કરી હતી. બોલિંગ હજુ પણ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે. દીપક ચાહક અને ભુવનેશ્વર બંને મેચમાં ખર્ચાળ સાબિત થયા છે. વર્તમાન શ્રેણીમાં ફિલ્ડિંગ ભારત માટે ચિંતાનો વિષય છે.
કોહલી પોતાના નેતૃત્વમાં આઠમો શ્રેણી વિજય અપાવી શકશે?
ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં ૧૩મી ટી-૨૦ શ્રેણી રમી રહી છે. ભારતે છેલ્લી ૧૨માંથી સાત શ્રેણી જીતી છે અને બે શ્રેણીમાં પરાજય થયો છે. ત્રણ શ્રેણી ડ્રો રહી છે. જુલાઈ-૨૦૧૭માં વિન્ડીઝ અને ફેબ્રુઆરી-૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને પરાજિત કરી હતી. જો આજે ટીમ ઇન્ડિયા મેચ જીતી લેશે તો તે વિન્ડીઝ સામે સતત ત્રીજી વાર શ્રેણી જીતવામાં સફળ રહેશે.
પીચ રિપોર્ટ અને હવામાનઃ મુંબઈમાં હવામાન ચોખ્ખું રહેશે. તાપમાન ૨૪ િડગ્રીની આસપાસ રહેશે. વાનખેડે સ્ટેડિયમની પીચ ફાસ્ટ બોલર અને સ્પિનર- બંને માટે અનુકૂળ રહેશે. નિર્ધારિત ઓવર્સની મેચમાં આ પીચ પર બેટિંગ કરવી પણ આસાન રહેશે.