પ્રથમ વન ડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે વિન્ડીઝે ત્રણ વન ડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી અને હવે વિન્ડીઝનું સંપૂર્ણ ધ્યાન સીરિઝ જીતવા પર છે. સીરિઝની બીજી વન ડે 18 ડિસેમ્બરે એટલે કે આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1.30 લાગ્યે શરૂ થશે.
વન ડે સીરિઝમાં 1-0થી આગળ છે વિન્ડીઝ ટીમ
ભારતે કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે
ભારત બેટિંગ અને બોલિંગમાં ફેરફાર કરી શકે છે
હવે વિન્ડીઝ સામેની વન ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમ જીત સાથે કમબેક કરવા માગશે. જેથી જરૂરી છે કે કેપ્ટન કોહલી તેની સંપૂર્ણ તૈયાર સાથે મેદાન પર ઉતરે. નહીં તો વન ડેમાં નવમા નંબરની ટીમ ફરી બીજા નંબરે રહેલી ભારતીય ટીમને હરાવી સીરિઝ જીતીને પોતાના નામે કરી દેશે. આ સીરિઝ જીતવા પર કેપ્ટન કીરોન પોલાર્ડનું નામ થશે, જોકે વિરાટ કોહલી અને રોહિત શર્માને પિચ પર રોકવા એટલું સરળ નહીં હોય.
પ્રથમ મેચમાં ભારતીય ટીમની બોલિંગ નબળી હતી. જેથી શિમરોન હેટમેયર અને શાઈ હોપે ભારતીય બોલરોને માત આપી સરળતાથી સ્કોર બનાવ્યો અને ટીમને જીત અપાવી હતી. દિપક ચાહર અને શિવમ દુબેનું પ્રદર્શન એટલું સારું નહોતું. એવો જ હાલ મોહમ્મદ શમીનો પણ હતો. સ્પિનરોમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ ખાસ કંઈ કમાલ દેખાડી શક્યા નહોતા. હવે બીજી વન ડે સીરિઝમાં ભારત તેની બોલિંગ પેટર્નમાં ફેરફાર કરી શકે છે. બેટિંગમાં કોહલી કેવા બદલાવ સાથે મેદાનમાં ઉતરે છે તે જોવાનું રહ્યું.
ભારત બેટિંગ અને બોલિંગમાં ફેરફાર કરી શકે છે
ભારત બેટિંગ અને બોલિંગમાં ફેરફાર કરી શકે છે, પરંતુ અન્ય ચિંતા ફિલ્ડિંગની છે. ટી-20થી વનડે સુધી ભારતનું ફિલ્ડિંગ એટલું સારું રહ્યું નથી. છેલ્લી મેચમાં પણ શ્રેયસે હેટમેયરનો કેચ છોડી દીધો હતો. ફીલ્ડિંગમાં ટીમ ઈન્ડિયાની ભૂલો મોટી ખામી સાબિત થઈ છે. જ્યારે વિન્ડિઝ આ મેચમાં એવા આત્મવિશ્વાસ સાથે આવશે કે તે ભારતને તેના જ ગઢમાં હરાવી દેશે. વિન્ડીઝ પાસે વર્ષો પછી ભારત સામેની પહેલી વન ડે સીરિધ જીતવાની તક છે. છેલ્લી વખત 2002/03માં વિન્ડીઝે ભારતની ધરતી પર વનડે શ્રેણી 4-3 (7) જીતી હતી.
મનીષ પાંડે મિડલ-ઓર્ડર બેટ્સમેન છે. જે છઠ્ઠા નંબર પર કેદાર જાધવની જગ્યા લઈ શકે છે. જોકે, જાધવે ચેન્નાઇમાં 33 બોલમાં 40 રન બનાવ્યા હતા. પાંચમા બોલર તરીકે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અથવા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને લેવામાં આવી શકે છે. આ બંનેમાંથી એકને પસંદ કરવા પર, બે ઓલરાઉન્ડર શિવમ દુબે અથવા રવિન્દ્ર જાડેજામાંથી એકને બાકાત રાખી શકાય છે. દુબે છેલ્લી મેચમાં આઠમા ક્રમે ઉતર્યો હતો. શાર્દુલને તેની જગ્યાએ તક આપી શકાય છે કારણ કે જાડેજાનો અનુભવ ગમે ત્યાં કામ આવી શકે છે.