ગુવાહાટીમાં શ્રીલંકા સામે ટી-20 મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. મેચની પૂર્વસંધ્યાએ પ્રેક્ટિસ સેશનમાં કેચ લેતી વખતે તેને ડાબા હાથમાં ટચલી આંગળીમાં ઇજા થઈ હતી. ભારત અને શ્રીલંકા 22 મહિના પછી ટી-20માં સામ-સામે છે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો નીતિન પટેલે તરત જ કોહલીની સારવાર કરી હતી. મેદાન પર તેઓ કોહલીની આંગળી પર મેજિક સ્પ્રે લગાવતા જોવા મળ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર જોવા મળ્યો નહોતો. તે ગુરુવારે ગુવાહાટી પહોંચ્યો હતો.
22 મહિના બાદ ટી-20માં આમને-સામને આવ્યા ભારત અને શ્રીલંકા
ગુવાહાટીમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે સીરિઝની પહેલી ટી-20 મેચ
આ સીરિઝમાં દરેકનું ધ્યાન શિખર ધવન અને જસપ્રિત બુમરાહ પર રહેશે
ભારતે તેની છેલ્લી ટી-20 સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝને 2-1થી હરાવ્યું હતું. જ્યારે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે 0–3થી હાર્યું હતું. શ્રીલંકાની ટીમ માટે પણ આ સીરિઝ ઘણી મુશ્કેલ લાગી રહી છે. તેણે ભારત સામે અત્યાર સુધી એક પણ દ્વિપક્ષીય ટી-20 સીરિઝ જીતી નથી.
સીરિઝની પહેલી મેચ રવિવારે બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પહેલી મેચ રવિવારે બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સીરિઝમાં દરેકનું ધ્યાન ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ શિખર ધવન અને જસપ્રિત બુમરાહ પર રહેશે. આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ ફરી વાપસી કરી રહ્યા છે. ભારતે વિન્ડિઝ સામે ટી-20 અને વનડે બંને શ્રેણી જીતી હતી. આ પછી ટીમ બ્રેક પર હતી અને હવે તેઓ નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા માગે છે.
ધવન રણજી ટ્રોફીમાં સદી ફટકારીને પોતાની ફિટનેસ સાબિત કરી છે
ધવન ઈજાને કારણે ટીમની બહાર હતો. પણ હવે તેણે રણજી ટ્રોફીમાં સદી ફટકારીને પોતાની ફિટનેસ સાબિત કરી છે. હવે સવાલ એ છે કે, શું ધવન આંતરરાષ્ટ્રીય સ્તરે એ જ ફોર્મ ચાલુ રાખી શકશે? તેની પર જવાબદારી પણ મોટી છે કારણ કે, સિલેક્ટર્સે આ શ્રેણીના ઉપ-કેપ્ટન રોહિત શર્માને આરામ આપ્યો છે. રોહિત હાલમાં ફોર્મમાં છે અને ધવનની ઉપર તેના પૂર્વ સાથીની જગ્યા લેવાની જવાબદારી છે. જ્યારે, અન્ય ઓપનર લોકેશ રાહુલ માટે પણ આ સીરિઝ પોતાને સાબિત કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. રોહિતની સાથે રાઈટ હેન્ડેડ બેટ્સમેન લોકેશે વિન્ડિઝ સામે ટીમને જોરદાર શરૂઆત આપી હતી. તેણે ધવન સાથે પણ આવું જ કરવું પડશે, પરંતુ તેની સાથે ત્રીજા ઓપનર બેટ્સમેન તરીકે તેણે તેની જગ્યા મજબૂત કરવી પડશે.
બુમરાહ કરશે વાપસી
બુમરાહ બેક ફ્રેક્ચરને કારણે ચાર મહિના માટે ટીમમાંથી બહાર રહ્યો હતો, તે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે અને આ વર્ષના ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સાવધાની સાથે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના હસ્તક્ષેપ બાદ, તેને ગુજરાત માટે સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ મેચ માટે પણ રમવાની છૂટ આપવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સ્તર પર વાપસી તેના કાર્યભારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.