આજે શ્રીલંકા સામે ત્રીજી અને અંતિમ ટી-20 શ્રેણી મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા ઊતરશે ત્યારે તેની સામે અંતિમ ઈલેવનની પસંદગી માથાના દુખાવા સમાન બની રહેશે. ટીમ સામે દ્વિધા એ છે કે જીત હાંસલ કરનારા કોમ્બિનેશન સાથે મેદાન પર ઊતરવું કે પછી સંજુ સેમસન અને મનીષ પાંડેને મેદાનમાં ઉતારવા. ઇન્દોર ખાતે રમાયેલી બીજી ટી-20માં બિનઅનુભવી શ્રીલંકન ટીમ ભારતને જરાય ટક્કર આપી શકી નહોતી. આમ આજની મેચ નબળી કહેવાતી શ્રીલંકાની ટીમ સામે છે, પરંતુ ભારતની નજર આગામી ટી-20 વિશ્વકપ પર રહેશે.
આજે શ્રીલંકા સામે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ
પુણેમાં નબળી શ્રીલંકન ટીમ સામે રમાશે મેચ
ભારતની નજર આગામી ટી-20 વિશ્વકપ પર રહેશે
પુણેમાં વરસાદી વાદળ છવાયાં
ટી-20 શ્રેણીની ગૌહાટી ખાતેની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઇન્દોરમાં પણ વરસાદની શક્યતા હતી, પરંતુ મેચ રમાઈ. ગઈ કાલે પુણેમાં હવમાન વાદળછાયું હતું. આજે પણ પુણેમાં વરસાદી વાદળ છવાયેલાં છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે દિવસભર વાદળ છવાયેલાં રહેશે, જોકે વરસાદની બહુ શક્યતા નથી.
પીચનો મિજાજ
મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.ના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ રહેશે, પરંતુ બોલર્સ માટે પણ આ પીચમાં ઘણું બધું છે. આથી આજની મેચ રોમાંચક બની શકે છે.
આજે પ્રથમ બોલે વિકેટ ઝડપવા છતાં શાર્દુલ ઠાકુરની હેટટ્રિક નહીં ગણાય
(એજન્સી) પુણે, શુક્રવારઃ શ્રીલંકા સામે ઇન્દોરમાં રમાયેલી બીજી ટી-20માં ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા શાર્દુલ ઠાકુરે ભજવી હતી. તેણે પોતાના સ્પેલની અંતિમ ઓવરમાં કુલ ત્રણ વિકેટ ઝડપી, જેમાં શાર્દુલે અંતિમ બે બોલમાં વિકેટ ઝડપી હતી. ક્રિકેટ ચાહકો વિચારી રહ્યા છે કે આજે શાર્દુલ પોતાના સ્પેલના પ્રથમ બોલે જ વિકેટ ઝડપીને હેટટ્રિક પૂરી કરશે, પરંતુ એવું નહીં થાય. શાર્દુલ કદાચ આજે પોતાના પ્રથમ બોલ પર વિકેટ ઝડપશે તો પણ તે હેટટ્રિક નહીં ગણાય.
ક્રિકેટના નિયમ અનુસાર હેટટ્રિક ત્યારે જ ગણાય છે, જ્યારે એક જ મેચમાં કોઈ બોલર પોતાની ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપે. ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સના અંતમાં બે અને બીજી ઇનિંગ્સના પ્રથમ બોલ પર વિકેટ ઝડપે તો તેને હેટટ્રિક ગણી શકાય, કારણ કે આ એક જ મેચ છે. વન ડે ક્રિકેટમાં આવું થઈ શકતું નથી. આજે રમાનારી વન ડે નવી મેચ છે. આથી શાર્દુલ પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર વિકેટ ઝડપશે તો પણ તે હેટ્રિક નહીં ગણાય.