ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ધર્મશાલા ટી-20 મેચ વિના ટોસ કરે રદ્દ કરી દેવાઇ છે. રવિવારે ધર્મશાલામાં સતત વરસાદને કારણે મેચ સંભવ ન થઇ શકી. વરસાદને કારણે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) મેદાનમાં પાણી ભરાઇ ગયા. ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝનો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહાલીમાં રમવામાં આવશે.
ત્યારબાદ ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે. ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમની સ્થિતિ જોઇ સોશિયલ મીડિયા પર ફેન્સ ભડકી ઉઠ્યા હતા. ટ્વિટર પર ફેન્સ પોતાનો ગુસ્સો જાહેર કરતા સવાલ કર્યો કે આ ઋતુમાં મેચ કેમ રમવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, છેલ્લે 2018માં આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમવામાં આવી હતી. ત્યારે ભારતે સાઉથ આફ્રીકાને તેના ઘર પર 2-1થી હરાવ્યું હતું. ત્યારે હવે સાઉથ આફ્રિકા ગત સીરિઝની હારનો બદલો લેવા માટે ભારતના પ્રવાસે છે. છેલ્લી વાર દક્ષિણ આફ્રીકાએ 2015માં ભારતનો પ્રવાસ કર્યો હતો.
ત્યારે ત્રણ મેચોની સીરિઝ મહેમાન ટીમે 2-0થી પોતાના નામે કરી હતી, જ્યારે ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઇ હતી. દક્ષિણ આફ્રીકા એકમાત્ર એવી ટીમ છે, જેને ભારત પોતાની ધરતી પર ટી-20 ઇન્ટરનેશનલમાં હરાવી શકી નથી.