વર્લ્ડ કપ ૨૦૧૯ની પહેલી સેમીફાઈનલ મેચ વરસાદના કારણે આજ રોજ રમાશે. આજે મેચ જ્યાં મંગળવારે વરસાદના કારણે રોકવામાં આવી હતી ત્યાંથી જ આગળ રમાશે. જેમાં ટીમ ઇન્ડિયા તરફથી ૪૭મી ઓવર ભુવનેશ્વર કુમારે પૂરી કરવી પડશે.
જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ક્રીઝ ઉપર રોસ ટેલર અને ટોમ લેથમ જોવા મળશે. મંગળવારે વરસાદના કારણે મેચ રોકવામાં આવી ત્યારે ભુવનેશ્વર કુમાર ૪૭મી ઓવરનો બીજો બોલ નાખવા જઈ રહ્યા હતો. વરસાદ શરૂ થયો ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર ૫ વિકેટ પર ૨૧૧ રન હતો. ન્યૂઝીલેન્ડનો બેટસમેન ટેલર ૬૭ અને લેથમ ૩ રને રમતમાં છે. હવામાન વિભાગની આગાહી આજ માટે પણ સારી નથી. આજે સવારે વરસાદની ૧૦ ટકા આશંકા છે, જયારે બપોરે ૩૫ થી ૪૦ ટકા શક્યતા છે.
આજે વાતાવરણ સારું રહ્યું તો...
આજે વાતાવરણ સારું રહેશે તો ન્યૂઝીલેન્ડ મંગળવારના સ્કોરથી આગળ રમશે. આ રીતે મેચ ૫૦-૫૦ ઓવરની થશે અને ભારત માટે સારી સ્થિતિ રહેશે. કારણ કે મેચમાં ટીમ ઇન્ડિયાની મજબુત પકડ છે.
આજે વરસાદ પડશે તો ઓવર ઘટશે
જો આજે પણ વરસાદ વિઘ્ન બનશે અને વધારે વરસાદ પડશે તો ભારત સામે ડકવર્થ લુઇસ નિયમ મુજબ સંશોધિત ટાર્ગેટ હશે. ICC ના નિયમ અનુસાર આ મેચમાં પરિણામ ફક્ત ત્યારે મળશે જયારે બેટિંગ ટીમ (આ કેસમાં ભારત) ઓછામાં ઓછો ૨૦ ઓવર રમે.
જો વધુ વરસાદ હશે તો ભારત સામે આ ટાર્ગેટ રહેશે
જો આજે ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ શરુ થતી નથી ( વધારે સમય વરસાદ રહ્યો તો) ભારતને ઓછામાં ઓછી ૨૦ ઓવર સુધી રમવું પડશે. ડકવર્થ લુઇસ નિયમ અનુસાર ભારત સામે આ ટાર્ગેટ હોઈ શકે છે. ૨૦ ઓવરમાં ભારતને ૧૪૮ રન સંશોધિત ટાર્ગેટ મળશે. જો ભારતીય ઇનિંગ્સ ૨૫ ઓવર સુધી રમી શકે તો ૧૭૨ રનનો સ્કોર કરવો પડશે. આવી જ રીતે ૩૦ ઓવરમાં ૧૯૨ રનનો ટાર્ગેટ. જો ટીમ ઇન્ડિયા ૩૫ ઓવર સુધી બેટિંગ કરશે તો જીત માટે ૨૦૯ રન ફટકારવા પડશે. ૪૦ ઓવરમા જીત માટે ૨૨૩ અને ૪૬ ઓવરમાં ૨૩૭ રન ફટકારવા પડશે.
વરસાદને કારણે આજની મેચ નહિ રમાય તો ભારત હશે ફાઈનલમાં
આજની મેચનું પરિણામ ત્યારે જ મળશે જ્યારે ભારત ઓછામાં ઓછી ૨૦ ઓવર રમે. જો વધારે વરસાદ પડશે અને મેચ નહિ રમાય તો અહિયાં લીગ સ્ટેજમાં બંને ટીમના પરફોર્મન્સ દ્વારા નક્કી કરવામાં આવશે. આવી પરિસ્થિતીમાં ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પ્રવેશ કરશે કેમ કે લીગ સ્ટેજમાં ભારતના ૧૫ પોઈન્ટ છે અને ન્યુઝીલેન્ડના ૧૧ પોઈન્ટ છે. જ્યારે આ અગાઉ વર્લ્ડકપમાં આ બંને ટીમ વચ્ચેનો મુકાબલો વરસાદના કારણે રોકાઈ ગયો હતો અને બને ટીમને ૧-૧ પોઈન્ટ મળ્યો હતો.