ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે મુંબઈ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સારી શરૂઆત થયા બાદ ભારત તરફથી ઈનિંગમાં કંગાળ પ્રદર્શન સામે આવ્યું હતુ અને ભારતીય ટીમે 80 રનના સ્કોરે પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી. બ્રેક બાદ વાપસી કરી રહેલા કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ કશું ઉકાળી શક્યા નહોતા અને ખાતુ ખોલ્યા વગર પેવેલિયન પાછા ગયા હતા.
મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નબળુ પ્રદર્શન
વિરાટ કોહલી થર્ડ એમ્પાયરના નિર્ણયથી થયા નારાજ
ગુસ્સે થયેલા કોહલીએ બાઉન્ડ્રી લાઈન પર પછાડ્યુ બેટ
વિરાટ કોહલી આઉટ થતાં ઉભા થયા સવાલ
વિરાટ કોહલીના આઉટ થવાના નિર્ણય બાદ ઘણાં સવાલ ઉભા થયા છે. વિરાટ કોહલી પણ થર્ડ એમ્પાયરના નિર્ણયથી પરેશાન થયા હતા. આ આખી ઘટના ભારતીય ઈનિંગની 30મી ઓવરમાં થઇ હતી. એઝાઝ પટેલનો બોલ ફ્રન્ટ પેડ પર અથડાયો અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ અપીલ કર્યા બાદ મેદાનમાં રહેલા એમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ જાહેર કર્યો.
એમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ જાહેર કર્યા બાદ કોહલીએ તાત્કાલિક ડીઆરએસનો પ્રયોગ કર્યો. રિપ્લે પરથી જાણવા મળ્યું કે બોલ કોહલીની બાજુમાંથી નિકળી હતી. પરંતુ આ જાણવુ ખૂબ મુશ્કેલ હતુ કે બોલ પેડને અથડાતા પહેલા બેટ સાથે અથડાઈ હતી કે બંને વસ્તુઓ એકસમયે થઇ હતી. થર્ડ એમ્પાયર વિરેન્દ્ર શર્માએ મેદાનમાં રહેલા એમ્પાયરના નિર્ણયની સાથે સહમત થયા અને વિરાટ કોહલીને આઉટ જાહેર કર્યો.
ગુસ્સામાં કોહલીએ પછાડ્યુ બેટ
થર્ડ એમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ કોહલી ઓન-ફીલ્ડ એમ્પાયર નીતિન મેનનની પાસે ગયા. બંને એમ્પાયરે ખૂબ વાત કરી. ત્યારબાદ કોહલી પેવેલિયન તરફ ગયો. પેવેલિયન તરફ જતી વખતે કોહલી ખૂબ ગુસ્સામાં હતો અને તેણે બાઉન્ડ્રી લાઈન પર પોતાનું બેટ જોરથી પછાડ્યુ હતુ.